મુંબઈઃ ટીમ ઈન્ડિયા ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમશે. આ નોકઆઉટ મેચ પહેલા ઇશાન કિશન, અભિષેક શર્મા અને અક્ષર પટેલ ગણપતિ બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.
આ વર્લ્ડ કપની સતત 3 ઈનિંગમાં ‘ઝીરો’ પર આઉટ થયા પછી, અભિષેક શર્માએ દક્ષિણ આફ્રિકા સામે 15 રન બનાવ્યા, ત્યારબાદ તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 55 રનની ઈનિંગ રમી. આ પછી તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 10 રન બનાવ્યા. નોકઆઉટ મેચમાં આ ઓપનિંગ બેટ્સમેન પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. બીજી તરફ ઈશાન કિશને નામિબિયા અને પાકિસ્તાન વિરુદ્ધ અડધી સદી ફટકાર્યા બાદ ઝિમ્બાબ્વે વિરુદ્ધ સુપર-8 મેચમાં 38 રનની ઈનિંગ રમી હતી. આગામી મેચમાં દેશને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે.
અક્ષર પટેલે આ વર્લ્ડ કપમાં યુએસએ, નામિબિયા અને પાકિસ્તાન સામે 2-2 વિકેટ ઝડપી હતી. આ પછી તેણે ઝિમ્બાબ્વે સામે 1 વિકેટ ઝડપી હતી. ચાહકોને તેની પાસેથી માત્ર બોલિંગમાં જ નહીં પરંતુ બેટિંગમાં પણ ઘણી અપેક્ષાઓ છે.
ટીમ ઈન્ડિયા યુએસએ, નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે સતત ચાર ગ્રુપ સ્ટેજ મેચ જીતીને સુપર-8માં પહોંચી હતી, જ્યાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હાર્યા બાદ ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ નિર્ણાયક મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમિફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.
બીજી તરફ નેપાળ સામે 4 રને જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ પછી ઇંગ્લેન્ડે સ્કોટલેન્ડ અને ઇટાલીને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય કર્યું, જ્યાં તેણે શ્રીલંકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી.
T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે, જેમાં ભારતે 3 મેચ જીતી છે. છેલ્લા બે વર્લ્ડ કપ માટે, ઇંગ્લેન્ડ વિ ભારત સેમિફાઇનલ મેચના વિજેતાએ ટ્રોફી ઉપાડી છે.

