ઈસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલો સૈન્ય તણાવ હવે નવા અને ખતરનાક સ્તરે પહોંચતો જણાય છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત ઘણા મહત્વપૂર્ણ લક્ષ્યો પર ડ્રોનનો ઉપયોગ કરીને હવાઈ હુમલા કર્યા છે. આ દાવો એવા સમયે સામે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે સતત હવાઈ હુમલા અને સીમા પર અથડામણ વધી ગઈ છે.
ડ્રોન દ્વારા હુમલાનો દાવો
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 11 વાગ્યે અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનના સૈન્ય મથકોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહીમાં ઈસ્લામાબાદ નજીક સ્થિત સૈન્ય ઠેકાણાઓ સિવાય ફૈસલાબાદ, જમરુદ અને એબોટાબાદ જેવા વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તાલિબાને દાવો કર્યો હતો કે ઓપરેશન સફળ રહ્યું હતું અને ઘણા સૈન્ય લક્ષ્યોને નુકસાન થયું હતું.
અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, આ હુમલાઓમાં વિસ્ફોટક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે, જોકે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
પાકિસ્તાની હુમલાના જવાબમાં કાર્યવાહી
તાલિબાને સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન દ્વારા તાજેતરના હવાઈ હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા પાકિસ્તાન એરફોર્સે કાબુલ, કંદહાર અને પક્તિયામાં અનેક ટાર્ગેટને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો હતો.
ડ્યુરન્ડ લાઇન પર ભીષણ સંઘર્ષ
સરહદી વિસ્તાર ડ્યુરન્ડ લાઇન પર પણ સ્થિતિ ખૂબ જ તંગ છે. તાલિબાને અથડામણ દરમિયાન 55 થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે, જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ પાકિસ્તાને આ દાવાઓને ફગાવી દીધા છે.
ખુલ્લા યુદ્ધ જેવી સ્થિતિ- પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન
આ સમગ્ર ઘટના વચ્ચે ખ્વાજા મોહમ્મદ આસિફે જોરદાર નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાનની ધીરજ હવે ખતમ થઈ ગઈ છે અને બંને દેશો વચ્ચે ‘ખુલ્લા યુદ્ધ’ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને આશા હતી કે નાટો દળોની હકાલપટ્ટી બાદ અફઘાનિસ્તાનમાં સ્થિરતા આવશે, પરંતુ સ્થિતિ તેનાથી વિપરીત બની છે.
સતત હુમલાઓ અને જવાબી કાર્યવાહી વચ્ચે કતાર દ્વારા કરવામાં આવેલ યુદ્ધવિરામ પણ નબળો પડી રહ્યો હોવાનું જણાય છે. જો કે પાકિસ્તાન તરફથી તાજા નિવેદનમાં યુદ્ધવિરામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો- AI થી UPI સુધી… ભારત અને ઈઝરાયેલ વચ્ચે 27 મોટા કરાર, કોને કેટલો ફાયદો થશે?

