ઈરાને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુદ્ધવિરામની કોઈપણ શક્યતાને નકારી કાઢી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી દેશ પર હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી તેહરાન માત્ર તેના સંરક્ષણ પર કેન્દ્રિત રહેશે અને તેના દુશ્મનો સામે યોગ્ય જવાબી હુમલો કરશે. સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્ક સાથે વાત કરતા, બગાઈએ કહ્યું કે સંરક્ષણ અને દુશ્મનો સામે મજબૂત જવાબી કાર્યવાહી સિવાય અન્ય કોઈ મુદ્દા પર વાત કરવાનો કોઈ અર્થ નથી.
આ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન એવા લક્ષ્યોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે જેનો ઉપયોગ હુમલાખોર દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ પડોશી મુસ્લિમ દેશો સાથે કોઈપણ સંઘર્ષ ટાળશે. બગાઈએ તુર્કી, અઝરબૈજાન અને સાયપ્રસ પર કથિત હુમલાના આરોપોને પણ નકારી કાઢ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ ઘટનાઓ ઈરાનને ફસાવવા અને પ્રદેશમાં તણાવ વધારવાના હેતુથી ‘ખોટા હુમલા’ છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઈરાનના મુસ્લિમ પડોશીઓ સાથે કોઈ યુદ્ધ નથી અને તેહરાનની કામગીરી માત્ર પ્રતિકૂળ દળોના લક્ષ્યો સુધી મર્યાદિત છે. આ ક્રિયાઓ ઈરાનના સ્વ-બચાવના કાયદેસરના અધિકારનો એક ભાગ છે.
નોંધનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને શનિવારે સરકારી ટેલિવિઝન પર આપેલા ભાષણમાં પડોશી દેશો પર થયેલા તાજેતરના હુમલાઓ બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું કે તહેરાન પાડોશી દેશો પર ત્યાં સુધી હુમલો નહીં કરે જ્યાં સુધી ઈરાન પર તેમના વિસ્તારમાંથી હુમલો ન થાય. પેજેશ્કિયાને કહ્યું કે મારા પોતાના વતી અને ઈરાન વતી હું પાડોશી દેશોની માફી માંગુ છું કે ઈરાને હુમલો કર્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વચગાળાની નેતૃત્વ પરિષદે નિર્ણય લીધો છે કે હવે પાડોશી દેશો પર કોઈ હુમલા કે મિસાઈલ છોડવામાં આવશે નહીં, સિવાય કે ઈરાન પર હુમલો તે દેશોમાંથી આવે.

