ઢાકા: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોટી જીત બાદ, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રમુખ તારિક રહેમાન મંગળવારે, 17 ફેબ્રુઆરીએ દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત 13 દેશોના વડાઓને તેમના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ કેટલાક દેશોમાં વીકએન્ડની રજાઓને કારણે ડેલિગેટ્સની હાજરીની પુષ્ટિ કરવામાં થોડો સમય લાગી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સમારોહમાં કોણ હાજરી આપશે તે સંબંધિત નેતાઓની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.
આ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે
શપથ ગ્રહણ સમારોહ માટે જે દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, શ્રીલંકા, માલદીવ, નેપાળ, ભૂતાન, કતાર, મલેશિયા અને બ્રુનેઈનો સમાવેશ થાય છે.
ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી
બાંગ્લાદેશમાં 299 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ 209 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. ચૂંટણીમાં જીતેલા નવા સાંસદોને પણ 17 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરની દેખરેખ હેઠળ શપથ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આ વખતે શપથ ગ્રહણની જગ્યા બદલાશે
સામાન્ય રીતે બાંગ્લાદેશમાં, વડાપ્રધાન અને મંત્રી પરિષદની શપથવિધિ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન બંગભવનના દરબાર હોલમાં થાય છે. પરંતુ આ વખતે આ સમારોહનું આયોજન રાષ્ટ્રીય સંસદ ભવનના દક્ષિણ પ્રાંગણમાં કરવામાં આવશે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વખતે વધુ મહેમાનોને બોલાવવામાં આવ્યા છે અને દરબાર હોલમાં મર્યાદિત જગ્યાને કારણે સ્થળ બદલવામાં આવ્યું છે.
આ પણ વાંચો- Rafale, Su-30MKI, C-130J… ભારતીય વાયુસેનાનું વિમાન મોરાન હાઈવે પર ઉતર્યું, PM મોદી જોતા જ રહ્યા

