ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, તેના પરિવારના સભ્યો અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે રવિવારે શ્રી વરાહ લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં પૂજા કરી હતી. ભારતીય ટીમે શનિવારે ત્રીજી અને અંતિમ વનડે ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે હરાવ્યું અને શ્રેણી 2-1થી જીતી લીધી.
મંદિરના અધિકારીઓએ કોહલી અને તેના પરિવારનું સ્વાગત કર્યું અને તેમને દર્શન માટે લઈ ગયા. દર્શન કર્યા પહેલા તેમણે પરંપરાગત કપ્પસ્તમ્બમ અલિંગનમ (પવિત્ર સ્તંભને ગળે લગાડવાની) વિધિમાં ભાગ લીધો હતો. અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, “કોહલી તેના પરિવારના સભ્યો અને તેની ભારતીય ટીમના કેટલાક સાથી ખેલાડીઓ સાથે મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો.”
તેમણે જણાવ્યું કે દર્શન બાદ પૂજારીઓએ નાદસ્વરમના નાદ સાથે વેદ આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજારીઓએ ખેલાડીઓને મંદિરના પવિત્ર વસ્ત્રો આપ્યા અને દેવસ્થાન વતી તેમને દેવતાની તસવીર અને પ્રસાદ અર્પણ કર્યો. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે દક્ષિણ આફ્રિકા સામે 45 બોલમાં 65 રનની અણનમ ઈનિંગ રમ્યા બાદ કહ્યું કે તે કોઈપણ દબાણ વગર રમી રહ્યો છે.
ત્રણ મેચની આ શ્રેણીમાં કોહલીએ 302 રન બનાવ્યા હતા. પ્રથમ બે વનડેમાં સદી ફટકાર્યા બાદ, ત્રીજી મેચમાં પણ તેની બેટિંગથી પ્રભાવિત કર્યા બાદ તેને શ્રેણીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે શનિવારે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

