ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાયેલી પ્રથમ વનડે જીતી હતી. ભારત પ્રથમ મેચ સાત વિકેટે હારી ગયું હતું. ખેલાડીઓને બીજી વનડે પહેલા થોડા દિવસનો બ્રેક મળ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ શ્રેણીની બીજી અને ‘કરો યા મરો’ મેચ પહેલા તણાવ ઓછો કરવા માટે ટીમ ડિનર માટે ગઈ હતી. એડિલેડમાં એક લોકપ્રિય ભારતીય રેસ્ટોરન્ટની મુલાકાત લેતા ભારતીય ખેલાડીઓની તસવીરો સામે આવી છે.
શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમ માટે 23 ઓક્ટોબરે એડિલેડ ઓવલમાં રમાનાર બીજી વનડે જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટે હાર્યા બાદ ટીમ દબાણમાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભારતીય ખેલાડીઓ બસમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમના બાકીના સભ્યો સાથે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. એડિલેડમાં હાજર ભારતીય ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સને સાથે જોયા બાદ ઉત્સાહિત દેખાતા હતા.
ઓસ્ટ્રેલિયન ટીવી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો જોવા મળ્યા ન હતા. રેસ્ટોરન્ટના માલિક સુમન વિસંથિમે કહ્યું, “તેને હોસ્ટ કરવાનો ખરેખર આનંદ હતો. ભારતીય ખેલાડીઓએ બીજી વનડે પહેલા વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન બાદ ટીમ ડિનરમાં હાજરી આપી હતી. પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એડિલેડ ઓવલ ખાતે લાંબી બેટિંગ પ્રેક્ટિસ સેશન દરમિયાન પરસેવો પાડ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે ગુરુવારે એડિલેડમાં રમાશે, જેની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.
રોહિત-કોહલીએ ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં લગભગ છ મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું, પરંતુ વધુ અસર છોડી શક્યા ન હતા. રોહિત 14 બોલમાં માત્ર આઠ રન બનાવી શક્યો હતો જ્યારે કોહલી આઠ બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો.

