રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘર પર થયેલા હુમલાથી રશિયા ચોંકી ગયું છે. રશિયાએ યુક્રેન પર પુતિનને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે અને આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાએ યુક્રેનને પણ ચેતવણી આપી છે કે યુક્રેનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન પર આ આરોપો એવા સમયે લગાવ્યા છે જ્યારે અમેરિકાની મધ્યસ્થી શાંતિ મંત્રણામાં બંને પક્ષો વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ હવે નજીક છે. આનાથી લગભગ 4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની આશા જાગી. જો કે રશિયાના આ આરોપો બાદ ફરી એકવાર આ આશા ડગી રહી છે.
ક્રેમલિને મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે યુક્રેનના આ હુમલા બાદ શાંતિ મંત્રણામાં રશિયાની સ્થિતિ વધુ મજબૂત બનશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ડ્રોન હુમલો માત્ર પુતિન વિરુદ્ધ જ નહીં, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ મંત્રણાના પ્રયાસો વિરુદ્ધ પણ છે. “આ આતંકવાદી કૃત્યનો હેતુ સંવાદ પ્રક્રિયાને સમાપ્ત કરવાનો છે,” પેસ્કોવે પત્રકારોને કહ્યું.
રશિયા વાતચીત ચાલુ રાખશે
જો કે, રશિયન પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે હુમલા છતાં, રશિયા મંત્રણામાંથી પીછેહઠ કરશે નહીં. “રશિયા વાટાઘાટોની પ્રક્રિયામાંથી પીછેહઠ કરી રહ્યું નથી. અમે મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાતચીત ચાલુ રાખીશું,” પેસ્કોવે કહ્યું. તે જ સમયે, પેસ્કોવે યુક્રેન દ્વારા આ હુમલાને નકારવા પર પણ તીખી પ્રતિક્રિયા આપી છે. “અમે જોઈએ છીએ કે ઝેલેન્સ્કી પોતે તેને નકારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કિવ સાથે મળીને ઘણા પશ્ચિમી માધ્યમો, આ કથા ફેલાવવાનું શરૂ કરી રહ્યા છે કે આવું થયું નથી. આ સંપૂર્ણ ગાંડપણ છે,” તેમણે કહ્યું.
પુતિનના ઘર પર 91 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો
આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે સોમવારે દાવો કર્યો હતો કે યુક્રેને નોવગોરોડ ક્ષેત્રમાં પુતિનના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને આતંકવાદી હુમલો ગણાવતા રશિયન નેતાએ દાવો કર્યો હતો કે 28-29 ડિસેમ્બરની રાત્રે યૂક્રેને રાષ્ટ્રપતિના નિવાસસ્થાને 91 લાંબા અંતરના ડ્રોન છોડ્યા હતા. લવરોવે કથિત ડ્રોન હુમલાને શાંતિના પ્રયાસોને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે રશિયન સેનાએ પણ જવાબી હુમલા માટે લક્ષ્યો પસંદ કર્યા છે.

