પાકિસ્તાનની ટી-20 ટીમના કેપ્ટન હાલમાં સલમાન અલી આગા છે, પરંતુ આગામી થોડા દિવસો પછી કેપ્ટનશિપ અન્ય કોઈ ખેલાડીને સોંપવામાં આવે તો નવાઈ નહીં. T20 એશિયા કપ 2025માં પાકિસ્તાનની ટીમે ભારત સામે જે રીતે પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટમાં ત્રણેય મેચ હારી તે જોતાં સલમાન અલી આગા પાસેથી કેપ્ટન્સી છીનવી શકાય છે. જોકે, હાલમાં જ તેની કેપ્ટનશિપમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા સામે ટી20 શ્રેણી જીતી હતી, પરંતુ હવે પાકિસ્તાને ત્રિકોણીય શ્રેણી રમવાની છે. અનુભવી ઓલરાઉન્ડર શાદાબ ખાન તે શ્રેણીની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.
વાસ્તવમાં અનુભવી ઓલરાઉન્ડર શાદાબ ખાનને 17 નવેમ્બરથી લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી T20 ટ્રાઇ સીરીઝ માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમો પણ આ ત્રિકોણીય શ્રેણીમાં સામેલ છે. ખભાની સર્જરી બાદ રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહેલા શાદાબે તાજેતરમાં લાહોરમાં પ્રેક્ટિસ મેચ રમી હતી. આ સમય દરમિયાન, પસંદગીકારો તેના પર ચાંપતી નજર રાખી રહ્યા હતા, જેમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા આકિબ જાવેદનો પણ સમાવેશ થાય છે. હવે એવા પણ સમાચાર છે કે જો શાદાબ ખાન વાપસી કરે છે તો તેને સલમાન અલી આગાની જગ્યાએ ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
પસંદગીકારોની નજીકના એક સૂત્રએ કહ્યું, “એવું લાગે છે કે શાદાબ ખભાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે અને તેને T20 ત્રિકોણીય શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.” શાદાબે કેટલીક T20 મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી છે. તે છેલ્લે આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝમાં પાકિસ્તાન તરફથી રમ્યો હતો. શાદાબ ખાને અત્યાર સુધી 6 મેચમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરી છે. આ 6 ટી20 મેચોમાંથી પાકિસ્તાને ચાર મેચ જીતી અને બે મેચ હારી. સલમાન અલી આગાને T20 વર્લ્ડ કપ 2024 પછી પાકિસ્તાનની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે આ સમયગાળા દરમિયાન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને ન તો ટીમ કંઈ ખાસ કરી શકી હતી.

