ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ 4,029 લોકો સરકારી કાર્યવાહીના કારણે માર્યા ગયા છે. માનવાધિકાર જૂથોએ આવો દાવો કર્યો છે. અમેરિકા સ્થિત ‘હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી’એ આ આંકડાઓ જાહેર કરતા કહ્યું કે ક્રેકડાઉન દરમિયાન 26,000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ‘હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી’ અનુસાર, મૃતકોમાં 3,786 પ્રદર્શનકારીઓ અને 180 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં 28 બાળકો અને 35 લોકો પણ માર્યા ગયા જેઓ કોઈપણ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા ન હતા. એજન્સી ઈરાનમાં અગાઉના અશાંતિના સમયગાળા દરમિયાન પણ સચોટ માહિતી પૂરી પાડી રહી છે.
એજન્સી કહે છે કે તે મૃત્યુઆંકની પુષ્ટિ કરવા માટે પાયાના કાર્યકરોના નેટવર્ક પર આધાર રાખે છે. એવી આશંકા છે કે માર્યા ગયેલા લોકોની સંખ્યા આના કરતા ઘણી વધારે હોઈ શકે છે. અહીં ધ્યાનમાં રાખવા જેવી હકીકત એ છે કે કોઈપણ સમાચાર એજન્સી કે અન્ય સંસ્થાએ આ આંકડાઓને સમર્થન આપ્યું નથી. આ દરમિયાન એવી માહિતી મળી રહી છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધિત કરવાના હતા. પરંતુ દેશમાં ચાલી રહેલી અરાજકતાને કારણે ઈરાનને મોકલવામાં આવેલ આમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમે કહ્યું, ‘તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ ઈરાનમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં નાગરિકોના દુઃખદ મૃત્યુને જોતા ઈરાન સરકાર માટે આ વર્ષે દાવોસમાં પ્રતિનિધિત્વ કરવું યોગ્ય નથી.’ અરાગચીએ આ નિર્ણયની નિંદા કરી અને કહ્યું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે દાવોસમાં મારી હાજરી ‘ઇઝરાયેલ અને તેના યુએસ સ્થિત સમર્થકો અને પ્રવક્તાઓના જૂઠાણા અને રાજકીય દબાણના આધારે રદ કરી છે.’ ઈરાની સત્તાવાળાઓએ હજુ સુધી મૃત્યુ અંગે કોઈ સ્પષ્ટ આંકડા જાહેર કર્યા નથી. જો કે, શનિવારે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું કે આ વિરોધ પ્રદર્શનોમાં ‘કેટલાક હજાર’ લોકોના મોત થયા છે. ખામેનીના શાસને માર્યા ગયેલા લોકોની સંખ્યા પર પ્રથમ વખત નિવેદન આપ્યું હતું અને તેમણે આ મૃત્યુ માટે યુએસને જવાબદાર ગણાવ્યું હતું.
ખામેની શાસને માર્યા ગયેલા લોકો પર પહેલીવાર નિવેદન આપ્યું
વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યાને લઈને ઈરાનના કોઈ નેતાનું આ પ્રથમ નિવેદન છે. ઈરાનના રાષ્ટ્રપતિ, ન્યાયતંત્રના વડા અને સંસદના સ્પીકરે સોમવારે જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “જ્યારે ખૂનીઓ અને દેશદ્રોહી આતંકવાદીઓને સજા કરવામાં આવશે, જેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને આતંકવાદી ઘટનાઓમાં તેમની કોઈ (અસરકારક) ભૂમિકા ન હતી તેઓને દયા અને ઉદારતા બતાવવામાં આવશે.”

