તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રવિવારે કહ્યું કે રાજ્ય વિધાનસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવશે. જેમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય 25 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની માંગ કરવામાં આવશે. તેમણે લઘુત્તમ વયમાં ફેરફાર કરવાની તેમની દરખાસ્તને સમયની જરૂરિયાત ગણાવી હતી અને દેશના સક્રિય રાજકારણમાં યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેના પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી અહીં ‘રાજીવ ગાંધી સદભાવના યાત્રા’ સ્મારક દિવસમાં ભાગ લીધા બાદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદને રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર અર્પણ કર્યા પછી બોલી રહ્યા હતા. રેડ્ડીએ લઘુત્તમ મતદાન વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવા બદલ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પ્રશંસા કરતાં કહ્યું કે તેનાથી દેશમાં સંસદીય લોકશાહી ભાવનાને મજબૂત બનાવવામાં મદદ મળી છે.
રેડ્ડીએ કહ્યું કે 21 વર્ષીય IAS અને IPS અધિકારીઓ જિલ્લાઓમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે અને તે જાણવા માગે છે કે 21 વર્ષની ઉંમરે કોઈ ધારાસભ્ય કેમ નથી બની શકતું? રેડ્ડીએ કહ્યું કે આગામી દિવસોમાં તેલંગાણા વિધાનસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવશે, જેમાં વિધાનસભા ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય 25 થી ઘટાડીને 21 વર્ષ કરવા માટે બંધારણીય સુધારાની માંગ કરવામાં આવશે. યુવાનોને દેશ ચલાવવાની તક આપવી જોઈએ.
મુખ્યમંત્રીએ વિપક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે જ્યુબિલી હિલ્સ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં મતોનું વિભાજન કરવા માટે તે ભાજપની ‘બી’ ટીમ છે. તેમણે આરોપ લગાવ્યો કે 2024ની લોકસભા ચૂંટણીમાં BRSએ ભાજપ સાથે ગુપ્ત સમજૂતી કરી હતી. લોકસભા ચૂંટણીમાં ભાજપને 21 ટકા મતોનું ટ્રાન્સફર રાજ્યમાં બીઆરએસ પાર્ટીની ષડયંત્રકારી રાજનીતિને સાબિત કરવા માટે પૂરતું છે.

