સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની ફાઇનલમાં પહોંચનારી બે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કોઈ સેમીફાઈનલ કે નોકઆઉટ મેચ નથી. પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવે છે કે ફાઈનલમાં કઈ બે ટીમો ટકરાશે. આ વખતે ટાઈટલનો મુકાબલો ઈશાન કિશનની કપ્તાની હેઠળની ઝારખંડની ટીમ અને અંકિત કુમારની કપ્તાનીમાં હરિયાણાની ટીમ વચ્ચે થશે. આ T20 ટૂર્નામેન્ટની ફાઇનલ 18 ડિસેમ્બર ગુરુવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ ટીમો પ્રથમ વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.
સામંત જાખર અને અંકિત કુમારની તોફાની અડધી સદીઓને કારણે, હરિયાણાએ મંગળવારે પુણેમાં હૈદરાબાદને 124 રનથી હરાવ્યું અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યાં તેનો સામનો ઝારખંડ સાથે થશે. 27 બોલમાં 57 રનની ઈનિંગ ઉપરાંત ઓપનર અંકિતે પ્રથમ બેટિંગ કરતા અર્શ રંગા (30) સાથે 7.4 ઓવરમાં 81 રનની ભાગીદારી કરીને હરિયાણાને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે પોતાની ઇનિંગમાં છ સિક્સર અને એક ફોર ફટકારી હતી.
આ પછી હૈદરાબાદે કેટલીક વિકેટો લીધી હતી, પરંતુ છઠ્ઠા સ્થાને બેટિંગ કરવા આવેલા જાખરે 22 બોલમાં આઠ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 60 રનની આક્રમક ઈનિંગ રમીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પાર્થ વત્સે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી અને 19 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા અને હરિયાણાએ સાત વિકેટે 246 રનનો મોટો સ્કોર બનાવ્યો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 16.1 ઓવરમાં 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બોલિંગમાં અમિત રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું, 14 રનમાં ત્રણ વિકેટ લીધી, જ્યારે જાખર (16 રનમાં બે વિકેટ), ઈશાંત ભારદ્વાજ (35 રનમાં બે વિકેટ) અને અંશુલ કંબોજે (16 રનમાં બે વિકેટ) બે-બે વિકેટ લીધી. હૈદરાબાદ તરફથી રાહુલ બુદ્ધીએ 24 બોલમાં 37 રન બનાવ્યા હતા. આ પહેલા ગ્રુપની અન્ય મેચમાં અજિંક્ય રહાણેના અણનમ 72 રન અને સરફરાઝ ખાનના 22 બોલમાં 73 રનની મદદથી મુંબઈએ રાજસ્થાનને ત્રણ વિકેટે હરાવ્યું હતું.
રહાણેએ 41 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા પરંતુ સરફરાઝે 22 બોલમાં 73 રનની ઈનિંગમાં સાત છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. જીતવા માટેના 217 રનના ટાર્ગેટના જવાબમાં મુંબઈએ વિકેટ ગુમાવી હોવા છતાં રનની ગતિ જાળવી રાખી હતી અને 11 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. રહાણે અને સરફરાઝે બીજી વિકેટ માટે 39 બોલમાં 111 રન જોડ્યા હતા. સરફરાઝને માનવ સુતારે આઉટ કર્યો હતો જેણે ચાર ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
અંગક્રિશ રઘુવંશી (0), સાઇરાજ પાટીલ (4), સૂર્યાંશ શેડગે (10) અને કેપ્ટન શાર્દુલ ઠાકુર (2) સસ્તામાં આઉટ થયા બાદ રહાણેને અથર્વ અંકોલેકરનો ટેકો મળ્યો હતો. આઠમા નંબરે આવેલા અંકોલેકરે નવ બોલમાં 26 રન બનાવ્યા હતા. અગાઉ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને દીપક હુડા (31 બોલમાં 51 રન) અને મુકુલ ચૌધરી (28 બોલમાં અણનમ 54 રન)ની ઇનિંગ્સના આધારે ચાર વિકેટે 216 રન બનાવ્યા હતા.

