વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણીની જીત પર ભાષણ આપતા કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની રાજનીતિનો આધાર હવે માત્ર નેગેટિવ રાજનીતિ બની ગયો છે. ક્યારેક ‘ચોકીદાર ચોર’ ના નારા લગાવવા, સંસદનો સમય બગાડવો, EVM પર હુમલો કરવો, ક્યારેક ચૂંટણી પંચને ગાળો આપવી, જાતિ અને ધર્મના આધારે લોકોને વહેંચવા, આ કોંગ્રેસનું કામ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે દેશ માટે કોઈ સકારાત્મક વિઝન નથી. આ દરમિયાન વડાપ્રધાને રાહુલ ગાંધી પર પણ જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે મને ડર છે કે ભવિષ્યમાં કોંગ્રેસનું બીજું મોટું વિભાજન થઈ શકે છે.
કોંગ્રેસમાં જૂથબંધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આજે કોંગ્રેસ મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે… કોંગ્રેસનો સમગ્ર એજન્ડા આની આસપાસ જ ફરે છે. તેથી કોંગ્રેસની અંદર એક અલગ જુથ ઉભરી રહ્યો છે જે નકારાત્મક રાજકારણથી અસ્વસ્થ છે. કોંગ્રેસના આ અગ્રણી નેતાઓ કોંગ્રેસને જે માર્ગ પર લઈ જઈ રહ્યા છે તેના કારણે ભારે નિરાશા અને ગુસ્સો વધી રહ્યો છે. મને ડર છે કે ભવિષ્યમાં કોંગ્રેસનું બીજું મોટું વિભાજન થઈ શકે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના સાથી પક્ષો પણ સમજી રહ્યા છે કે કોંગ્રેસ દરેકને નકારાત્મક દિશામાં લઈ જઈ રહી છે. આ પાર્ટી પોતાના સહયોગીઓની વોટબેંકને ગળીને જ આગળ વધી રહી છે.
જનતાનો વિશ્વાસ ખતમ થઈ રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પર દાયકાઓ સુધી શાસન કરનાર પાર્ટી પર જનતાનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં વર્ષોથી સત્તાથી દૂર છે. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ત્રણ આંકડા સુધી પહોંચી શકી નથી. 2024ની લોકસભા ચૂંટણી બાદ દેશના છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પણ કોંગ્રેસ 100 સીટોનો આંકડો પાર કરી શકી નહોતી. આજે પણ આપણા ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા છેલ્લી છ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલા ધારાસભ્યોની સંખ્યા કરતાં વધુ છે.

