ટીવી એક્ટ્રેસ નંદિની સીએમ એ તેના બેંગલુરુના ઘરે આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને નંદિનીના ઘરેથી એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણીએ આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી એક તમિલ સિરિયલમાં લીડ રોલ કરી રહી હતી. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકો તૂટી ગયા છે. કન્નડ અને તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
આત્મહત્યાનું કારણ
લાઈવમિન્ટના અહેવાલ મુજબ, સ્યુસાઈડ નોટમાં નંદિનીએ કહ્યું કે તેના માતા-પિતા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા, પરંતુ તે માનસિક રીતે લગ્ન કરવા માટે તૈયાર ન હતી. તેણે એ પણ જણાવ્યું કે તે અન્ય અંગત કારણોસર પણ ડિપ્રેશનથી પીડિત હતી. જો કે, તેમના મૃત્યુના ચોક્કસ કારણ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પોલીસ અધિકારીનું નિવેદન
એક પોલીસ અધિકારીએ કહ્યું, “તપાસ આગળ વધશે તેમ વધુ વિગતો શેર કરવામાં આવશે. હાલમાં પરિવારના સભ્યો અને નજીકના લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.” તપાસ દરમિયાન પોલીસ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે નંદિનીએ કયા સંજોગોમાં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

