મુંબઈઃ શનિવારે મુંબઈમાં મહાવિકાસ આઘાડી (MVA)ની ‘સત્યાચા મોરચા’ એટલે કે ‘માર્ચ ફોર ટ્રુથ’ નામની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને ચૂંટણી પંચ પર જોરદાર પ્રહારો કર્યા હતા. મતદાર યાદીમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવતા તેમણે લોકોને અપીલ કરી હતી કે જે લોકો લોકશાહી સાથે દગો કરી રહ્યા છે તેમને ઓળખીને તેમને પાઠ ભણાવવા.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું, ‘જ્યાં પણ તમે વોટ ચોરો જુઓ, તેમને રોકો, સવાલ કરો અને સત્ય બહાર લાવો.’ તેમણે લોકોને વિનંતી કરી કે તેઓનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાયેલ છે કે નહીં તે તપાસે. ઠાકરેએ કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે એક ટોયલેટ સીટ પર 100 મતદારોના નામ નોંધી શકાય છે, તો કલ્પના કરો કે તમારા ઘરમાં કેટલા હશે.
તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યની મતદાર યાદીઓમાં મોટા પાયે ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં સેંકડો મતદારોના નામ એક જ સરનામે ઉમેરવામાં આવ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર, કેટલીક જગ્યાએ એક જ સરનામે 800 થી વધુ લોકોના નામ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે મતદારોની વાસ્તવિક સંખ્યાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
એમવીએની આ રેલીનો હેતુ સરકાર અને ચૂંટણી પંચ પર દબાણ લાવવાનો હતો જેથી મતદાર યાદીમાં પારદર્શિતા લાવી શકાય. ઠાકરેએ કહ્યું કે જો લોકો હજુ પણ અવાજ નહીં ઉઠાવે તો ચૂંટણીની નિષ્પક્ષતા પરથી વિશ્વાસ ઉઠી જશે. તેમણે એમ પણ કહ્યું કે લોકશાહી ત્યારે જ ટકી શકશે જ્યારે લોકો જાગૃત રહેશે અને તેમના અધિકારોનું રક્ષણ કરશે.
રેલીમાં મોટી સંખ્યામાં MVA સમર્થકો, શિવસેના, કોંગ્રેસ અને NCP (શરદ પવાર જૂથ)ના નેતાઓ હાજર હતા. મંચ પરથી તમામ નેતાઓએ એક થઈને સંદેશ આપ્યો હતો કે મહારાષ્ટ્રમાં ચૂંટણી નિષ્પક્ષ રીતે થવી જોઈએ અને કોઈ ષડયંત્રને સાંખી લેવામાં આવશે નહીં.

