ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ વચ્ચે, ઢાકા તેની સૈન્ય ક્ષમતાને ઝડપથી મજબૂત કરી રહ્યું છે. બાંગ્લાદેશ, મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના નેતૃત્વ હેઠળ, તુર્કી તરફ વળ્યું છે અને તેણે સિરીટ લેસર-ગાઇડેડ મિસાઇલો ખરીદવાનું નક્કી કર્યું છે. આ ‘સ્માર્ટ’ મિસાઇલો, બાંગ્લાદેશના ડ્રોન અને આગામી એટેક હેલિકોપ્ટર પર પહેલેથી જ એકીકૃત છે, જે આધુનિક યુદ્ધમાં ચોકસાઇથી હુમલો કરવાની ક્ષમતાને વધારશે. હકીકતમાં શેખ હસીનાના કાર્યકાળ બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારમાં બાંગ્લાદેશ-પાકિસ્તાનના સંબંધો મજબૂત થયા છે. પાકિસ્તાન પહેલાથી જ મોટા પાયે તુર્કી પાસેથી હથિયાર ખરીદે છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશ પહેલા જ તુર્કી પાસેથી બાયરક્તર ટીબી-2 ડ્રોન ખરીદી ચૂક્યું છે, જેનો ઉપયોગ ભારતીય સરહદની દેખરેખ માટે કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, સંરક્ષણ મંત્રાલયની ટેન્ડર પ્રક્રિયા છતાં તુર્કીની સિરીટ મિસાઇલ સિસ્ટમ પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. તુર્કીની કંપની રોકેટસન દ્વારા નિર્મિત આ મિસાઈલ સચોટ અને આર્થિક છે, જેને એટેક હેલિકોપ્ટર પર પણ લગાવી શકાય છે. તે આર્મર્ડ અને નોન-આર્મર્ડ વાહનો સહિત સ્થિર અને ફરતા બંને લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.
હવે સવાલ એ છે કે સિરીટ મિસાઈલ ભારત પર શું અસર કરી શકે છે? વાસ્તવમાં, આ મિસાઈલ નાના રોકેટ અને ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ વચ્ચેના અંતરને પૂરે છે. ઉત્પાદકના જણાવ્યા મુજબ, તેને વિવિધ પ્લેટફોર્મ્સ પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. બાંગ્લાદેશી સંરક્ષણ અધિકારીઓ માને છે કે તે દેશની સૈન્ય જરૂરિયાતો માટે આદર્શ છે. તેનું પરીક્ષણ ડ્રોન અને એટેક હેલિકોપ્ટર પર કરવામાં આવ્યું છે. આ મિસાઈલોથી બાંગ્લાદેશની વાયુસેના ભારતની નજીકના ચટગાંવ હિલ ટ્રેક્ટમાં દુશ્મનોના ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.
એટલું જ નહીં, બાંગ્લાદેશ તુર્કી પાસેથી છ T-129 એટેક હેલિકોપ્ટર ખરીદવા માટે વાતચીત કરી રહ્યું છે. ભવિષ્યમાં, દેશ શક્તિશાળી ચોથી પેઢીના યુરોફાઈટર જેટ ખરીદવા માંગે છે.

