પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (PCAA) એ બાંગ્લાદેશની રાષ્ટ્રીય એરલાઇન ‘બિમાન એરવેઝ’ને ઢાકા અને કરાચી વચ્ચે સીધી ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપી છે. આ પરવાનગી શરૂઆતમાં ત્રણ મહિના માટે અજમાયશ ધોરણે આપવામાં આવી છે, જે 26 અથવા 30 માર્ચ 2026 સુધી માન્ય રહેશે. તેની અવધિ આગળ પણ વધારી શકાય છે. અહીં રસપ્રદ વાત એ છે કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાની એરલાઈન્સ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. એટલે કે પાકિસ્તાની વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ શકશે નહીં. બાંગ્લાદેશ માટે આવો કોઈ પ્રતિબંધ નથી. એટલા માટે પાકિસ્તાને બાંગ્લાદેશી એરલાઈન્સને ઢાકાથી કરાચી જવાની પરવાનગી આપી છે.
PCAAના પ્રવક્તાએ કહ્યું કે આ પરવાનગી પાકિસ્તાનની કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આપવામાં આવી છે. એરલાઈને પાકિસ્તાન એરસ્પેસમાં નિર્ધારિત રૂટ પર સખત રીતે ઉડવું પડશે અને ઢાકાથી પ્રસ્થાન કરતા પહેલા કરાચી એરપોર્ટ ઓથોરિટી સાથે ફ્લાઇટની સંપૂર્ણ વિગતો શેર કરવી પડશે. ફ્લાઇટનું સમયપત્રક અને અન્ય ઓપરેશનલ વિગતો આવતા સપ્તાહ સુધીમાં ફાઇનલ થવાની અપેક્ષા છે. વિમાન એરવેઝની ફ્લાઈટ્સ પાકિસ્તાન નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ ચાલશે.
ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2024માં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ઝડપથી સુધારો થયો છે. હસીનાને ભારત દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે, જેના કારણે ઢાકા-નવી દિલ્હીના સંબંધોમાં તણાવ આવ્યો છે. દરમિયાન, ઈસ્લામાબાદે ઢાકા સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો તેજ કર્યા છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) અને વિમાને કાર્ગો કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે દ્વિપક્ષીય વેપારને વધારવાનો એક ભાગ હતો. ફેબ્રુઆરી 2025માં દાયકાઓ પછી પહેલું કાર્ગો જહાજ પાકિસ્તાનથી બાંગ્લાદેશ પહોંચ્યું હતું. ડિસેમ્બર 2025 માં, પાકિસ્તાનમાં બાંગ્લાદેશના હાઇ કમિશનર, ઇકબાલ હુસૈન ખાને જાહેરાત કરી હતી કે વિમાન કરાચી માટે અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
પાકિસ્તાની એરલાઇન્સ પર ભારત દ્વારા લાદવામાં આવેલા એરસ્પેસ પ્રતિબંધોને કારણે પાકિસ્તાની એરલાઇન્સ ઢાકા માટે ફ્લાઇટ્સ શરૂ કરી શકતી નથી, પરંતુ વિમાનને ભારતીય એરસ્પેસનો ઉપયોગ કરવાની છૂટ છે. બાંગ્લાદેશી એરલાઈન્સને આનો ફાયદો થશે.

