ગયા વર્ષે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના કારણે વાયરલ થયેલા IIT બાબા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેનું કારણ તેમના લગ્ન છે. મળતી માહિતી મુજબ, ‘IIT બાબા’ ઉર્ફે અભય સિંહે આ વર્ષની શરૂઆતમાં એક એન્જિનિયર સાથે લગ્ન કર્યા હતા અને હવે લગ્ન બાદ તે પોતાના માતા-પિતાના આશીર્વાદ લેવા હરિયાણા પહોંચ્યો હતો. IIT બાબાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
વાસ્તવમાં, અભય સિંહે IIT બોમ્બેમાંથી અભ્યાસ કર્યો હતો, અને તેની વાર્તા મહાકુંભ દ્વારા જ લોકો સમક્ષ આવી હતી. આ પછી જ તેને આઈઆઈટી બાબાનું નામ મળ્યું. તેણે તાજેતરમાં જ પ્રિતિકા નામની એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ સાથે લગ્ન કર્યાં. ગત સોમવારે અભય સિંહ તેની નવી દુલ્હન સાથે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલા તેના ગામ પરત ફર્યા હતા. ખાસ વાત એ હતી કે આ દરમિયાન પણ તે ભગવા કપડામાં જ જોવા મળ્યો હતો.
અભય સિંહે મીડિયાને જણાવ્યું કે તેઓ તેમના માતા-પિતાના આશીર્વાદ લેવા અને બેંકમાં KYC ઔપચારિકતાઓ પૂર્ણ કરવા તેમના ગામમાં આવ્યા છે. લગ્ન વિશે જણાવતા તેણે કહ્યું કે તેમના લગ્ન શિવરાત્રીના દિવસે હિમાચલ પ્રદેશના અગંજર મહાદેવ મંદિરમાં થયા હતા. આ પછી 19 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ થયા.
કોણ છે અભય સિંહ?
આઈઆઈટીમાં અભ્યાસ કર્યા બાદ અને થોડા વર્ષો કામ કર્યા બાદ માનસિક હતાશાથી કંટાળેલા અભય સિંહ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. હરિયાણામાં જન્મેલા અભય સિંહે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે (IIT-B)માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એરોસ્પેસ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યા પછી, તેઓ આર્ટસ તરફ વળ્યા અને ડિઝાઇનમાં માસ્ટર્સ કર્યું. બાદમાં તે કેનેડા ગયો અને ત્યાં ત્રણ વર્ષ કામ કર્યું. તેણે એકવાર કહ્યું હતું કે કેનેડામાં તે વાર્ષિક 36 લાખ રૂપિયા સુધીની કમાણી કરતો હતો.

