ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે 2026 મેન્સ ટી20 વર્લ્ડ કપના આયોજન પહેલા એક મોટી મડાગાંઠ સર્જાઈ છે. બાંગ્લાદેશે સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતમાં તેમની ગ્રૂપ મેચો રમવાનો ઇનકાર કર્યો છે અને ટૂર્નામેન્ટના સહ-યજમાન શ્રીલંકામાં ફિક્સર શિફ્ટ કરવાની માંગ કરી છે. બાંગ્લાદેશનું આ કડક વલણ મુસ્તાફિઝુર રહેમાનના IPL એપિસોડ પછી શરૂ થયું હતું. બીસીબીનું માનવું છે કે વર્તમાન સંજોગોમાં ટીમ માટે ભારતનો પ્રવાસ યોગ્ય નથી. આ તંગ પરિસ્થિતિને કારણે નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
બાંગ્લાદેશની મેચો કોલકાતા અને મુંબઈમાં પ્રસ્તાવિત છે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના આ નિર્ણય બાદ સૌથી મોટો સવાલ એ છે કે ICC આના પર શું કાર્યવાહી કરશે. તેના માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? શું તે બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે અથવા તેની તમામ મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવા માટે સંમત થઈ શકે છે? બાંગ્લાદેશને ગ્રુપ સ્ટેજમાં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઈટાલી અને નેપાળ જેવી ટીમોનો સામનો કરવાનો છે. આ ચાર મેચોમાંથી ત્રણ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં અને એક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવવાની દરખાસ્ત છે.
ICC સમક્ષ કયા વિકલ્પો છે?
ICC હાલમાં આ સંકટના ઉકેલ માટે ત્રણ મુખ્ય વિકલ્પો પર વિચાર કરી શકે છે-
1. સમાધાન: T-20 વર્લ્ડ કપને સરળતાથી ચાલવા દેવા માટે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની માંગ સ્વીકારવી જોઈએ અને તેની તમામ મેચો પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં શિફ્ટ કરવી જોઈએ.
2. વોકઓવર: જો ICC મેચ શ્રીલંકામાં શિફ્ટ કરવા માટે સંમત ન થાય અને કહે કે બાંગ્લાદેશે તેની મેચો ભારતમાં રમવી પડશે, તેમ છતાં બાંગ્લાદેશ તેની મેચો ભારતમાં રમવાનો ઇનકાર કરે છે, તો તેના જૂથમાં હરીફ ટીમોને ‘વિજય પોઇન્ટ’ આપવામાં આવે છે. એટલે કે વોક ઓવર આપવો જોઈએ.

