અફઘાનિસ્તાને સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ હુમલામાં ડઝનેક નાગરિકોના જીવ ગયા છે. તાલિબાનના પ્રવક્તા ઝુબિઉલ્લાહ મુજાહિતે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે પાકિસ્તાને નાંગરહાર અને પક્તિકા પ્રાંતમાં અચાનક હવાઈ હુમલા કર્યા. આમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનેક લોકોના મોત થયા છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાએ નાંગરહારમાં એક રહેણાંક મકાન પર હુમલો કર્યો જેમાં એક પરિવારના લગભગ 23 લોકો રહેતા હતા. પરિવાર કાટમાળ નીચે દટાયો છે. અત્યાર સુધી માત્ર ચાર લોકોને બચાવી શકાયા છે.
તાલિબાને કહ્યું છે કે પાકિસ્તાને બર્મલ અને અર્ગુન જિલ્લામાં હવાઈ હુમલા કર્યા છે. ઈસ્લામાબાદ તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સરહદી વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ
ઝબીઉલ્લા મુજબીતે કહ્યું કે પાકિસ્તાને નાપાક હરકતો કરીને નિર્દોષ લોકોના જીવ લીધા છે. તેમણે કહ્યું, પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના જનરલો આવી જ ગતિવિધિઓ કરીને દેશમાં પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની એરસ્પેસમાં દખલ કરી છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન પાસે પણ જવાબ આપવાનો અધિકાર છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હુમલો કરવામાં આવશે.
પાકિસ્તાનનું કહેવું છે કે ખૈબર-પખ્તુનખ્વાના બન્નૂ વિસ્તારમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં સેનાના એક લેફ્ટનન્ટ કર્નલ અને એક જવાન શહીદ થયા હતા અને તેનો બદલો લેવા માટે આ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ પછી, સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, પાકિસ્તાન પાસે મજબૂત પુરાવા છે કે ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ પર હુમલો અને શનિવારે બન્નૂની ઘટના સહિત આતંકવાદની આ ઘટનાઓ કથિત રીતે અફઘાનિસ્તાનમાં સ્થિત તેમના માસ્ટર્સ અને હેન્ડલર્સના કહેવા પર ખાવરીજો દ્વારા કરવામાં આવી હતી.

