ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ભારત સામેની ત્રીજી વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ ODIમાં સતત 18મી વખત ટોસ હારી છે. ભારતે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે ODI વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં આ ફોર્મેટમાં ટોસ જીત્યો હતો અને ત્યારથી ટીમ ટોસ જીતી શકી નથી. આ શ્રેણીની ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે અને ઝેવિયર બાર્ટલેટની જગ્યાએ નાથન એલિસ ઈલેવનમાં પરત ફર્યો છે. એડિલેડમાં રમાયેલી બીજી વનડે મેચમાં બાર્ટલેટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે તે મેચની શરૂઆતમાં ભારતને બે આંચકા આપ્યા હતા જેમાં વિરાટ કોહલીની વિકેટ પણ સામેલ હતી. જો કે આ મેચ માટે તેને આરામ આપવામાં આવ્યો છે.
ભારતે પ્રથમ બે મેચમાં ત્રણ ઓલરાઉન્ડર અને ત્રણ ઝડપી બોલરોને મેદાનમાં ઉતાર્યા હતા. આ રણનીતિ ભારત માટે પ્રથમ બે મેચમાં કામ આવી ન હતી, પરંતુ હવે ભારતે આ મેચ માટે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. નીતિશ રેડ્ડી અને અર્શદીપ સિંહની જગ્યાએ કુલદીપ અને પ્રસિદ્ધને રમવાની તક મળી છે. વાસ્તવમાં, નીતિશ એડિલેડમાં રમાયેલી બીજી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે આ મેચ માટે ઉપલબ્ધ નથી. નીતિશે પર્થમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં આ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ બંને મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. જોકે હર્ષિત પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે અને ભારતે પ્રસિદ્ધને તક આપવા અર્શદીપને બહાર કરી દીધો છે.
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ.

