દક્ષિણ આફ્રિકા સામેની રોમાંચક હાર બાદ અફઘાનિસ્તાન કેમ્પમાં નિરાશાનો માહોલ છે. આ મેચ ઉતાર-ચઢાવથી ભરેલી હતી અને આખરે ‘ડબલ સુપર ઓવર’ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હાર બાદ અફઘાનિસ્તાનનો સ્ટાર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ ઘણો ભાવુક જોવા મળ્યો હતો. તેની નિરાશા જોઈને ભારતીય ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહે તેને પ્રોત્સાહન આપ્યું છે. યુવરાજે ગુરબાઝની બહાદુરી અને રમત પ્રત્યેના તેના જુસ્સાની ખૂબ પ્રશંસા કરી છે.
મેચની વાત કરીએ તો રહેમાનુલ્લા ગુરબાઝે મેદાન પર રનનું તોફાન ઉભું કર્યું હતું. તેણે દક્ષિણ આફ્રિકાના વર્લ્ડ ક્લાસ બોલરો સામે માત્ર 42 બોલમાં 84 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને ગુરબાઝે પોતાની ટીમને જીતની ખૂબ નજીક લઈ લીધી હતી. જોકે સમગ્ર ટીમ 19.4 ઓવરમાં 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મેચ ટાઈ થઈ હતી.
ગુરબાઝના શાનદાર પ્રયાસો વ્યર્થ ગયા ત્યારે યુવરાજ સિંહે તેને ‘જાદુગર’ કહ્યો. યુવરાજે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક સંદેશ આપતા કહ્યું, “રહેમાનુલ્લા ગુરબાઝ, નિરાશ ન થાઓ. તમે છેલ્લા બોલ સુધી તમારી ટીમ અને તમારા દેશ માટે લડ્યા.” યુવરાજે વધુમાં કહ્યું કે, એવા લોકોને જ ‘જાદુગર’ કહેવામાં આવે છે જે અંત સુધી હાર માનતા નથી. દિગ્ગજ ભારતીય ખેલાડીના મતે આજે દક્ષિણ આફ્રિકાની જીત કરતાં અફઘાનિસ્તાનની હારની વધુ ચર્ચા થશે.

