અદાણી ગ્રુપ: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન મોદી સહિત દેશના અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે. અદાણી ગ્રુપ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી છે કે ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા તમામ બાળકોના શિક્ષણની જવાબદારી અદાણી ગ્રુપ લેશે. તેમણે ટ્રેન દુર્ઘટના પર શોક પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ ટ્રેન દુર્ઘટના ચિંતાજનક છે. આ દુર્ઘટનામાં ઘણા બાળકોએ તેમના માતા-પિતાને ગુમાવ્યા છે.
ટ્રેન દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો માટે અદાણી ગ્રુપે મોટી જાહેરાત કરી છે. ટ્રેન દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ અદાણી ગ્રુપ ઉઠાવશે. ગૌતમ અદાણીએ ટ્વીટમાં કહ્યું કે પીડિતા અને તેના પરિવાર તેમજ બાળકોના ભવિષ્યની મદદ કરવી એ દરેકની જવાબદારી છે. ટ્રેન દુર્ઘટનાએ સૌને વ્યથિત કર્યા છે. જે બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ અદાણી ગ્રુપ ઉઠાવશે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં બહંગા બજાર સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે જ સમયે બેંગલુરુ હાવડા એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના ડબ્બા પણ પલટી ગયા હતા. આ અકસ્માતમાં 275 મુસાફરોના મોત થયા છે જ્યારે 1100થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.