ભારતના ‘ચંદ્રયાન 3’ મિશનની સફળતા બાદ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ સ્પર્ધા છે. આ ઐતિહાસિક મિશનની સક્સેસ સ્ટોરી પર ફિલ્મ બનાવવા માટે ઘણા ફિલ્મ નિર્માતાઓ મેદાનમાં ઉતર્યા છે. કેટલાક નિર્માતાઓએ તો તેમની ફિલ્મોના નામની નોંધણી પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન મિશન મંગલના નિર્દેશક જગન શક્તિએ ‘ચંદ્રયાન 3’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલના નિર્દેશક જગન શક્તિએ એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે મિશન મંગલની ટીમ સાથે ‘ચંદ્રયાન 3’ પર ફિલ્મ બનાવશે. જોકે, આ ફિલ્મમાં અક્ષય કુમાર હશે કે નહીં, તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી. મિશન મંગલના દિગ્દર્શકે કહ્યું કે તે આ તક ગુમાવશે નહીં અને તેણે કહ્યું, ‘અત્યારે હું ફિલ્મની વાર્તા વિશે વિચારી રહ્યો છું’. વાર્તા પર નિર્ણય લેતા પહેલા મારી મોટી બહેન પાસેથી ઇનપુટ લઈશ. તે ઈસરોમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક છે, એમ ડિરેક્ટરે વધુમાં જણાવ્યું હતું.
માત્ર જગન શક્તિ જ નહીં પરંતુ અન્ય ઘણા ફિલ્મ મેકર્સ અને પ્રોડક્શન હાઉસ પણ ચંદ્રયાન-3 મિશન પર ફિલ્મ બનાવવાની રેસમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસે ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPAPA), પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (IFTPC) ના મુંબઈ ઓફિસમાં ફિલ્મના નામની નોંધણી કરવા માટે અરજી કરી છે. જો કે, આમાંથી કેટલાક નિર્માતાઓને જ તેના પર ફિલ્મ બનાવવાની મંજૂરી આપવામાં આવશે.
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં IMPALAના એક અધિકારીએ કહ્યું, ‘આવતા અઠવાડિયે અમે આ તમામ અરજીઓની સમીક્ષા કરીશું અને પછી કેટલાક નિર્માતાઓને ફિલ્મો બનાવવાની મંજૂરી આપીશું, આ પરવાનગી તેમને આપવામાં આવશે જે અમને અસલી લાગશે.’