માનવ તસ્કરીની આશંકાથી ફ્રાંસમાં રોકાયેલું પ્લેન હવે મુંબઈ પહોંચ્યું, તેમાં ઘણા ભારતીય મુસાફરો સવાર હતા
ડિજિટલ ડેસ્ક- એક દેશમાં માનવ તસ્કરીના સંબંધમાં એક વિમાનને અટકાવવામાં આવ્યું હતું. ફ્રાન્સમાં ચાર દિવસ પહેલા માનવ તસ્કરીની આશંકાથી એક વિમાનને અટકાવવામાં આવ્યું હતું. પરંતુ હવે આખરે ચાર્ટર પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ મામલાને લઈને એક અધિકારીએ જણાવ્યું કે પ્લેન 276 મુસાફરો સાથે ભારત પહોંચ્યું હતું. આ પ્લેનમાં મોટાભાગે ભારતીયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વિમાન એરબસ A-340 સવારે 4 વાગ્યે મુંબઈ પહોંચ્યું હતું. આ વિમાને સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલે ફ્રાન્સના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે કે જ્યારે પ્લેન ટેક ઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા. બે સગીર સહિત 25 લોકોએ આશ્રયની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે તેઓ ફ્રાન્સની ધરતી પર હાજર હતા.બાદમાં બંને સગીરોને જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.