કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને કહ્યું કે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજીનામું આપવું જોઈએ.
પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. શું ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોની જવાબદારી માનવીય અને નૈતિક ધોરણે નક્કી ન થવી જોઈએ?
નિષ્ણાતો, સંસદીય સમિતિઓ, કેગના અહેવાલોની ચેતવણીઓ અને સૂચનોને અવગણવા માટે કોણ જવાબદાર છે? રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓ અને મહત્ત્વના વિસ્તારોમાં ભંડોળની અછત માટે કોની જવાબદારી નક્કી કરવામાં આવશે? લાલ બહાદુર શાસ્ત્રી જી, નીતિશ કુમાર જી, માધવ રાવ સિંધિયા જીના નૈતિક માર્ગને અનુસરીને રેલ્વે મંત્રીએ રાજીનામું ન આપવું જોઈએ?
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને રેલ મંત્રીના રાજીનામાની માંગણી કર્યા બાદ તરત જ તેમની ટિપ્પણી આવી હતી. કોંગ્રેસના નેતાઓ પવન ખેડા અને શક્તિસિંહ ગોહિલે રેલવેના અનેક આંતરિક અહેવાલોને ટાંક્યા હતા.
શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન નજીક કોરોમંડલ એક્સપ્રેસ અને SMVP-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા અને માલગાડી અથડાતા અને પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા હતા અને 1100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.