(જી.એન.એસ),તા.૦૩
વિશ્વના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ જાણે આજકાલ વધતી જતી સામે આવી રહી છે. હજુ જાપાનમાં આવેસા ભૂકંપના વિનાસના આંકડા સતત વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ અફઘાનિસ્તાન અને નેપાળ સહિત ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં ધરતી ધ્રુજી હોવાની માહિતી સામે આવી છે. મંગળવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 126 કિલોમીટર પૂર્વમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4.4 નોંધવામાં આવી છે..
જો કે અફઘાનિસ્તાનમાં અડધા કલાક બાદ જ ફરી એકવાર ધરતીમાં હલચલ અનુભવાઈ હતી. ફરી આવેલો આ ભૂકંપ અફઘાનિસ્તાનથી 100 કિમી પૂર્વમાં આવ્યો હતો. ફરી આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી. ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 હતી. તો આ સાથે મણિપુરથી 26 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ઉખરુલમાં પણ ધરતીકંપ અનુભવાયો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આપેલી માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 હતી..
અગાઉ નવેમ્બર 2023માં અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે ફરી એકવાર અહીં ધરા ધ્રૂજી છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે માહિતી આપી છે કે ફૈઝાબાદથી 328 કિમી પૂર્વમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિમીની અંદર હતું. નવેમ્બર 2023 પહેલા પણ ઘણી વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવી ચૂક્યો છે. હેરાતમાં ઓક્ટોબરમાં આવેલા ભૂકંપમાં 4000 થી વધુ લોકોના મોત થયા હતા..
આ ઘટનામાં હજારો મકાનો ધરાશાયી થયા હતા. ધરતીકંપના શક્તિશાળી આંચકાએ હેરાત અને આસપાસના વિસ્તારોને હચમચાવી દીધા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. સોમવારે નેપાળમાં પણ જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર સિંધુપાલચોકના લિસ્ટિકોટમાં નોંધાયુ હતું. રવિવારે રાત્રે અહીં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 નોંધવામાં આવી હતી. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું.