દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે તેલંગાણાના સીએમ અને BRS ચીફ કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આપ સાંસદ સંજય સિંહ, સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. હૈદરાબાદમાં બંને નેતાઓની મુલાકાત દરમિયાન ઘણા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
અરવિંદ કેજરીવાલે કેસીઆરને વિનંતી કરી કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા વટહુકમને પસાર થવા ન દેવો. આ સિવાય બંને નેતાઓ વચ્ચે 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ વાતચીત થઈ હતી. લોકસભા ચૂંટણી 2024ને લઈને વિપક્ષી પાર્ટીઓ ફરી એકવાર એક થવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવેલા વટહુકમના બહાને અરવિંદ કેજરીવાલ પણ વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વટહુકમ દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગની સત્તા LGને સોંપવાના સંબંધમાં છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે, જેને પલટાવવા માટે કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. દિલ્હી સરકાર સંસદમાં આ વટહુકમને પરાસ્ત કરવાના પ્રયાસો કરી રહી છે. જેના માટે કેજરીવાલ અને કેસીઆર શનિવારે મળ્યા હતા.