ખાલિસ્તાન તરફીઓના કારણે ભારત અને કેનેડા વચ્ચે તણાવ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય વિવાદ વચચે પંજાબી સિંગર અને રેપર શુભનીત સિંહની મુંબઈ ખાતે યોજાનારી કોન્સર્ટ રદ કરવામાં આવી છે. સ્પોન્સર બોટ અને બુક માય શો દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપવામાં આવી છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ખટરાગની અસર અન્ય ક્ષેત્રોમાં પણ વરતાઈ રહી છે. પંજાબી મૂળના અને કેનેડામાં સ્થાયી થયેલા સિંગર શુભનીત સિંહને લોકો સુભ તરીકે ઓળકે છે. લાખો ફોલોઅર્સ ધરાવનારા શુભને મુંબઈમાં સાંભળવા માટે લોકો ઉત્સુક હતા અને એડવાન્સ બુકિંગ પૂર જોશમાં ચાલતુ હતું. બુક માય શો અને બોટ દ્વારા આ શો રદ કરવાની જાહેરાત થઈ છે.
અગાઉ તિરંગાનું અપમાન કરવાના કારણે શુભ વિવાદમાં રહેલો છે. શુભનો શો રદ થયા બાદ આગામી 10 દિવસમાં ટિકિટના નાણાં રિફંડ કરી દેવામાં આવશે. આ રકમ ટિકિટ બુક કરાવનાર વ્યક્તિના ખાતામાં આવી જશે. ખાલિસ્તાન તરફી મનાતા શુભ સાથેના તમામ કોન્ટ્રાક્ટ બોટ કંપનીએ રદ કરી દીધા છે. ભારતમાં તેના શોને આ કંપની જ સ્પોન્સર કરવાની હતી. શુભના ચાહકોમાં ક્રિકેટર વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. જો કે વિરાટે તેને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધો છે. શુભે થોડા સમય પહેલા ભારતનો નકશો શેર કર્યો હતો, જેમાં જમ્મુ અને પંજાબ જેવા વિસ્તારો ન હતા. શુભના ભારત આગમન પહેલા કેનેડા સાથે વિવાદ શરૂ થતાં આખરે આ શો રદ કરવામાં આવ્યો છે.