મુંબઈ/નવી દિલ્હી, 1 એપ્રિલ (હિન્દુસ્તાન રિપોર્ટર) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના વ્યાવસાયિક સંચાલને બાહ્ય અસંતુલન અને અનિશ્ચિતતાઓનો સામનો કરવાની ભારતની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી સીતારમણ આરબીઆઈના 90માં સ્થાપના દિવસ નિમિત્તે અહીં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમના સંબોધનમાં, નાણામંત્રીએ બેંકોની બેલેન્સ શીટ સમસ્યાઓને સુધારવામાં કેન્દ્રીય બેંકની ભૂમિકાની પ્રશંસા કરી. સીતારમને જણાવ્યું હતું કે એસેટ ક્વોલિટી મેનેજમેન્ટ અને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક એ બધાં મોટાં પગલાં છે, જેને રિઝર્વ બેન્કે સારી રીતે અમલમાં મૂક્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ 1 એપ્રિલે RBIના 90માં સ્થાપના દિવસ પર મુંબઈમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે RBIની સ્થાપના વર્ષ 1935માં ભારતની કેન્દ્રીય બેંક તરીકે કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી, 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.