ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી અત્યાર સુધી સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. ખરાબ રમતના કારણે આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે આ ખેલાડીની આઈપીએલ કારકિર્દી પણ જોખમમાં છે. IPLની સિઝન 16માં આ ખેલાડીને સતત રમવાની તક મળી રહી છે. દિલ્હી કેપિટલ્સે આઈપીએલની હરાજીમાં આ ખેલાડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ ખેલાડી એક પણ મેચમાં પોતાની ટીમના વિશ્વાસ પર ખરો ઉતર્યો નથી.
IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલો મનીષ પાંડે સતત ફ્લોપ થઈ રહ્યો છે. મનીષ પાંડે લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી અને હવે તેને IPL ટીમમાંથી પણ બહાર થવાનો ખતરો છે. મનીષ પાંડે આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં મનીષ પાંડેએ 17.78ની એવરેજથી માત્ર 160 રન બનાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સે 2.4 કરોડ ખર્ચીને મનીષ પાંડેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પરંતુ તે અત્યાર સુધી એક પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. મનીષ પાંડે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 170 મેચ રમી ચૂક્યો છે. આ મેચોમાં મનીષ પાંડેએ 29.07ની એવરેજથી 3808 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 22 અડધી સદી જોવા મળી છે.
ટીમ ઈન્ડિયામાં પણ વાપસીની આશા ઓછી છે.
મનીષ પાંડે માટે ટીમ ઈન્ડિયાના દરવાજા પણ લગભગ બંધ થઈ ગયા છે. મનીષ પાંડે છેલ્લે જુલાઈ 2021માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો હતો, ત્યાર બાદ તે ટીમનો ભાગ બની શક્યો ન હતો. મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 39 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 44.31ની એવરેજ અને 126.15ની સ્ટ્રાઈક રેટથી 709 રન બનાવ્યા છે. તેણે ભારત માટે 29 વનડે પણ રમી છે, જેમાં તેણે 566 રન બનાવ્યા છે.