ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધના આજે 13માં દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. તેમણે ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના મોત થવા અંગે શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદનમાં કહ્યું કે, અમે પેલેસ્ટિનિયન લોકોને માનવીય સહાય મોકલવાનું યથાવત રાખીશું. આ સાથે તેમણે હિંસા, આતંકવાદ અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બગડતી સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની સૈદ્ધાંતિક સ્થિતિનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.. આ પહેલા, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, પેલેસ્ટાઈનને લઈને ભારતની નીતિ લાંબા સમયથી પહેલા જેવી જ રહી છે. ભારત હંમેશા વાતચીત દ્વારા સ્વતંત્ર અને સાર્વભૌમ પેલેસ્ટાઈનની હિમાયત કરતું આવ્યું છે. અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત પણ ઈઝરાયેલમાં શાંતિ ઈચ્છે છે. એ લોકોનું વલણ પહેલા જેવું જ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી જણાવ્યું કે, “પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી. ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.. વડાપ્રધાને વધુમાં લખ્યું, “અમે પેલેસ્ટિનિયન લોકોને માનવીય સહાય મોકલવાનું યથાવત રાખીશું. હિંસા, આતંકવાદ અને મધ્ય પૂર્વ પ્રદેશમાં બગડતી સુરક્ષાની સ્થિતિ અંગે તેમની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા સમયથી ચાલતી સૈદ્ધાંતિક સ્થિતિનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. આ અગાઉ વડાપ્રધાન મોદીએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલ ઉપર થયેલા હવાઈ હુમલામાં લોકોના મોત પર ગહન દુ:ખ વ્યક્ત કર્યું હતું. દુઃખ વ્યક્ત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, સંઘર્ષમાં નાગરિકોના મોત એ ગંભીર ચિંતાનો વિષય છે. હોસ્પિટલ પર થયેલા હુમલામાં સામેલ લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગાઝામાં અલ અહલી હોસ્પિટલ પર થયેલા ભીષણ હવાઈ હુમલાની વિશ્વ સ્તરે નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી હતી અને આ મામલે હસ્તક્ષેપ કરીને હુમલો કરનારાની જવાબદારી નક્કી કરવાની વાત કરવામાં આવી હતી.