પ્યોંગયાંગ: ઉત્તર કોરિયામાં ભૂખમરાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આત્મહત્યાના વધતા જતા મામલાઓને જોઈને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને સ્થાનિક અધિકારીઓને આત્મહત્યા રોકવા માટે આદેશ જારી કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા એક અધિકારીએ કહ્યું કે ભૂખમરાથી મૃત્યુ પામેલા લોકોનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી, કારણ કે સરકારે આ આંકડાઓને ગુપ્ત રાખ્યા છે. તેમણે કહ્યું કે ગુપ્તચર વિભાગના અંદાજ મુજબ ઉત્તર કોરિયામાં ગયા વર્ષની સરખામણીમાં આત્મહત્યાની સંખ્યામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે.
આત્મહત્યા માટે અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને પોતાના આદેશમાં આત્મહત્યાને ‘સમાજવાદ વિરુદ્ધ દેશદ્રોહ’ ગણાવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અંગે યોજાયેલી ઈમરજન્સી મીટિંગ દરમિયાન કિમ જોંગ ઉન દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે જે સ્થાનિક અધિકારીઓ તેમના વિસ્તારમાં આત્મહત્યા રોકવામાં નિષ્ફળ જશે તેઓ સંયુક્ત રીતે જવાબદાર રહેશે. આ ઇમરજન્સી મીટિંગમાં નોર્થ હેમગ્યોંગની ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં એક આખા પરિવારે આત્મહત્યા કરી હતી. મીટિંગમાં આત્મહત્યાની સંખ્યાનો ડેટા પણ આપવામાં આવ્યો હતો.
સુસાઈડ નોટના ઘટસ્ફોટથી ચોંકી ઉઠ્યા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા એક અધિકારીએ કહ્યું કે કિમ જોંગ ઉને બોલાવેલી ઈમરજન્સી મીટિંગમાં સામેલ લોકો દેશ અને સામાજિક વ્યવસ્થાની ટીકા કરતી સુસાઈડ નોટના ઘટસ્ફોટથી ચોંકી ગયા હતા. રાયંગગાંગના અન્ય એક અધિકારીએ રેડિયો ફ્રી એશિયાને જણાવ્યું હતું કે ભૂખમરો કરતાં આત્મહત્યા સમુદાયને વધુ અસર કરી રહી છે.
આત્મહત્યા નિવારણ નીતિ પછી પણ કોઈ ઉકેલ નથી
અધિકારીએ રેડિયો ફ્રીને જણાવ્યું હતું કે આત્મહત્યાને અટકાવતી અનેક નિવારક નીતિઓ હોવા છતાં, અધિકારીઓ યોગ્ય ઉકેલ લાવવામાં સક્ષમ નથી. મોટાભાગની આત્મહત્યાઓ અત્યંત ગરીબી અને ભૂખમરાનાં કારણે થઈ હતી. તે જ સમયે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના 2019 ના ડેટા અનુસાર, ઉત્તર કોરિયામાં 100,000 લોકો દીઠ 8.2 આત્મહત્યા હતા.