ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગા બજાર રેલવે સ્ટેશન પાસે ભયાનક ટ્રેન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા અને 1200 લોકો ઘાયલ થયા હતા. જ્યાં સુધી CBI આ ઘટનાની તપાસ પુરી કરી ન લે ત્યાં સુધી બહાનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી રહેશે નહીં. આ અંગે અધિકારીઓએ જાણકારી આપી હતી. સાઉથ ઈસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું કે સીબીઆઈએ લોગ બુક જપ્ત કરી સ્ટેશનને સીલ કરી દીધું છે, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ટ્રેન સ્ટેશન પર રોકાશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે રિલે ઈન્ટરલોકિંગ પેનલને સીલ કરી દેવામાં આવી છે. જેના કારણે રેલવે સ્ટેશનના સ્ટાફને સિગ્નલિંગ સિસ્ટમના સૌથી મહત્વના ભાગ સુધી પહોંચ નથી. આગળની સૂચના ન મળે ત્યાં સુધી બહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન કે માલસામાન ટ્રેન રોકાશે નહીં.
બહાનગા બજાર જેવા નાના સ્ટેશનોમાં, રિલે ઇન્ટરલોકિંગ પેનલ્સ તેમના ભૌગોલિક સ્થાન અનુસાર સિગ્નલ, પોઈન્ટ, ટ્રેક સર્કિટ, ક્રેન્ક હેન્ડલ્સ, એલસી ગેટ, સાઇડિંગ્સ વગેરે માટે ઈન્ડિકેટિંગની સુવિધા હોય છે. બહાનગા બજાર રેલ્વે સ્ટેશન પરથી દરરોજ 170 ટ્રેનો પસાર થાય છે. તેમાંથી અહીં માત્ર સાત પેસેન્જર ટ્રેનો જ રોકાય છે. આ ટ્રેનોમાં ભદ્રક-બાલાસોર મેમુ, હાવડા ભદ્રક બાઘજતી ફાસ્ટ પેસેન્જર, ખડગપુર ખુર્દા રોડ ફાસ્ટ પેસેન્જરનો સમાવેશ થાય છે. આ ટ્રેનો સ્ટેશન પર માત્ર એક મિનિટ માટે જ ઉભી રહે છે. બહાનગા બજાર રેલ્વે સ્ટેશનની આસપાસ 25 ગામો આવેલા છે. આ ગામના મજૂરો ખાસ કરીને આ સ્ટેશન પરથી મુસાફરી કરતા હોય છે. આ રેલ્વે સ્ટેશન પર 10થી ઓછા લોકો કામ કરે છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે અપ-લાઇન અને ડાઉન-લાઇનની સાથે, અકસ્માત સ્થળે બંને લૂપ-લાઇનનું સમારકામ કરવામાં આવ્યું છે. જો કે, ટ્રેકને સુધારવા માટે નાના સમારકામ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે 24 ટ્રેનોની અવરજવર રદ કરવામાં આવી છે.