કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપી સુકેશ ચક્રવર્તી અવાર-નવાર જેકલીન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ગિફ્ટ લીધી હોવાનું જેકલીને સ્વીકાર્યું છે, પરંતુ તેની સાથેના અંગત સંબંધોનો જેકલીને ઈનકાર કર્યો છે. બીજી બાજુ સુકેશ દરેક પ્રસંગે જેકલીનની વાત કરતો રહે છે. સુકેશ સાથે સાંઠગાંઠના કારણે મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનેલી જેકલીન હવે ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થઈ રહી છે ત્યારે સુકેશ જેલમાં રહીને હર પળે જેકલીનની ચિંતા કરતો રહે છે.. જેકલીન ફર્નાન્ડિંઝે તાજેતરમાં ફતેહ ફિલ્મના સેટ પરથી ફોટોગ્રાફ શેર કર્યો હતો. સોનુ સૂદ સાથેની આ ફિલ્મનું દિલ્હી ખાતેનું શીડ્યુલ તાજેતરમાં પૂરું થયુ હતું. જેકલીને સોનુ અને ટીમ સાથેના ફોટોગ્રાફ શેર કરીને સમગ્ર ટીમનો આભાર માન્યો હતો. બીજી બાજુ તિહાર જેલમાંથી સુકેશ ચંદ્રશેખરે ગર્લફ્રેન્ડ જેકલીન માટે લવ લેટર લખ્યો છે. સુકેશે આ લેટરમાં જેકલીનને વાઘણ સાથે સરખાવી હતી. વધુમાં તેણે નવરાત્રિના નવ દિવસ દરમિયાન જેકલીનની કુશળતા અને સંકટ દૂર કરવા માટે ઉપવાસ રાખવાનો ઈરાદો જાહેર કર્યો હતો..
સુકેશે લવલેટરમાં લખ્યુ હતું કે, દોહા શોમાં જેકલીન ખૂબ જ સુંદર લાગતી હતી. બેબી, તારા જેવું મોહક કશું નથી. નવરાત્રિ શરૂ થઈ રહી છે અને જીવનમાં પહેલી વાર 9 દિવસ માટે ઉપવાસ કરવાનો છું. ઉપવાસનો હેતુ આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય તેવો છે. મા શક્તિના દિવ્ય આશીર્વાદથી આપણા માટે સારા દિવસો શરૂ થાય અને જીવનમાંથી નકારાત્મકા દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યો છું. ટૂંક સમયમાં આપણે બંને એકબીજા સાથે હોઈએ તેવી કામના રાખુ છું.. ઉપવાસના નવમા દિવસે સુકેશે જેકલીન માટે વિશેષ પૂજા રાખી છે. મા વૈશ્ણોદેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં જેકલીન અને સુકેશના નામે આ પૂજા રખાઈ હોવાનું લેટરમાં લખ્યું છે. પોતાના અને જેકલીનના સંબંધોની મજાક ઊડાવનારા લોકોને નીચું જોવું પડશે અને સારા દિવસો શરૂ થશે તેવી આશા સુકેશે વ્યક્ત કરી છે. જેકલીનને સાચવવા માટે પોતે ટૂંક સમયમાં બહાર આવી રહ્યો હોવાનું સુકેશ માને છે. દુનિયામાં કોઈ પણ પાંજરું જેકલીન અને તેની વચ્ચે દીવાલ બની શકે નહીં તેવો દાવો સુકેશે કર્યો છે. આ સાથે સુકેશે જેકલીનને પોતાની શક્તિ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, રૂ.200 કરોડના કૌભાંડમાં સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં છે. જેકલીનને પત્રો લખીને તે ચર્ચામાં રહેતો હોય છે.