તાજેતરમાં ભારતીય સુગર મિલ્સ એસોસિએશને ખાંડના ઉત્પાદનના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર દેશમાં ખાંડનું ઉત્પાદન 5 ટકા ઘટીને 149.52 લાખ ટન થયું છે.
એક વર્ષ પહેલા આ ઉત્પાદન 157.87 લાખ ટન હતું. નિષ્ણાંતોના મતે ખાંડના ભાવને અંકુશમાં લેવા માટે સરકાર કડક પગલાં લઈ શકે છે.
ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનું કહેવું છે કે આ વખતે 15 જાન્યુઆરી સુધીમાં દેશમાં 149.52 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ગયા અઠવાડિયે નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીએ ખાંડ ઉત્પાદનના આંકડા જાહેર કર્યા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મિલોએ 1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી વચ્ચે 14.87 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષ કરતાં 7 ટકા ઓછું છે. તેમણે આ ઘટાડા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યો હતો.
નિષ્ણાતોના મતે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાથી સરકાર અને સામાન્ય માણસ વચ્ચે તણાવ વધી શકે છે. આવી સ્થિતિમાં સરકાર માટે કિંમતોને નિયંત્રિત કરવી એક મોટો પડકાર છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ખાંડના ભાવને અંકુશમાં રાખવા માટે વધુ કડક પગલાં લઈ શકે છે.
નિષ્ણાતો કહે છે કે સરકાર ખાંડ મિલો અને સંગ્રહ કેન્દ્રોમાં સંગ્રહખોરી સામે પગલાં લઈ શકે છે. આવી સ્થિતિમાં, તે બજારમાં ખાંડની ઉપલબ્ધતા અને કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ કરશે.