નવી દિલ્હી: સામાન્ય રીતે ઉનાળામાં દૂધનું ઉત્પાદન ઘટે છે પરંતુ આ વખતે તેની નકારાત્મક અસર થવાની શક્યતા છે. આ ઉનાળામાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. નિષ્ણાતો કહે છે કે ગરમીની લહેર અને જળાશયો સુકાઈ જવાથી દૂધાળા પશુઓ માટે ઘાસચારો અને પાણીની અછત સર્જાઈ શકે છે. જેના કારણે આગામી દિવસોમાં દૂધ ઉત્પાદન પર અસર પડી શકે છે. જો આમ થશે તો દૂધના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ વધી છે.
4 એપ્રિલના ડેટા અનુસાર દેશના 150 મોટા જળાશયોમાં પાણીનું સ્તર 35 ટકા છે, જે એક વર્ષ પહેલા કરતા 17 ટકા ઓછું છે અને છેલ્લા 10 વર્ષની સરેરાશ કરતા બે ટકા ઓછું છે. દેશના અનેક રાજ્યોમાં હીટવેવની શક્યતા છે. આ ઉપરાંત મોટા જળાશયોમાં પણ પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. જેના કારણે પશુઓ માટે પાણીની અછત સર્જાઈ શકે છે.
નિષ્ણાતો કહે છે કે આ ઉનાળામાં તાપમાન સરેરાશ કરતાં વધુ રહેવાની ધારણા છે. આ ખાસ કરીને મહારાષ્ટ્ર, ઓડિશા અને દક્ષિણના રાજ્યોમાં થઈ શકે છે. જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાને કારણે આગામી દિવસોમાં દેશમાં પાણીની તંગી સર્જાઈ શકે છે.
આનાથી પ્રાણીઓ માટે પાણીનો અપૂરતો પુરવઠો થશે અને દૂધ ઉત્પાદન પર અસર થઈ શકે છે, આ વખતે સમગ્ર દેશમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે પરંતુ મધ્ય અને પશ્ચિમ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા છે.