કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. ગરીબો માટે સરકાર અનેક સ્કિમ બહાર પાડે છે એમાની એક સ્કિમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તેનાથી 81 કરોડ લોકોને ફાયદો થશે. આ યોજના 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવશે. આ સિવાય કેબિનેટની બેઠકમાં અન્ય ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ડ્રોન પ્લાનને પણ મંજૂરી આપવામાં આવી હતી..
આ યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે. એક જૂથમાંથી એક મહિલાને ડ્રોન ઉડાવવાની 15 દિવસની તાલીમ આપવામાં આવશે, જેને ડ્રોન સખી કહેવામાં આવશે. ડ્રોન પાયલટને 15 હજાર રૂપિયા અને કો-પાયલટને 10 હજાર રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. આ યોજના 2026 સુધી ચાલુ રહેશે અને તેનો કુલ ખર્ચ 1261 કરોડ રૂપિયા થશે..
તમને જણાવી દઈએ કે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 13.50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી 5 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 81 કરોડ લોકોને તેનો ફાયદો થશે. આ યોજના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે..
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વર્ષ 2020 માં કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર ત્રણ મહિના (એપ્રિલ, મે અને જૂન) માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના લાભમાં કુલ 80 કરોડ રેશનકાર્ડ ધારકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવામાં આવ્યો હતો.