મુંબઈઃ ચાલુ વર્ષની રવિ સિઝનમાં દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.50 કરોડ ટન થવાનો અંદાજ છે, જે સરકારના અંદાજ કરતાં 6.25 ટકા ઓછું છે. ઘઉંનો પાક લગભગ પૂરો થઈ ગયો છે.
ચીન પછી ઘઉંના સૌથી મોટા ઉત્પાદક અને ઉપભોક્તા ભારતે 2022 થી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્ટોક વધારવા માટે ભારત બમ્પર પાક પર નિર્ભર છે.
સમગ્ર દેશમાં પાકની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, ચાલુ વર્ષમાં ઘઉંનું ઉત્પાદન 105 મિલિયન ટન થવાની ધારણા છે, એમ રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું.
વર્તમાન રવિ સિઝન માટે સરકારે ઘઉંનું ઉત્પાદન 11.20 કરોડ ટન થવાનો અંદાજ મૂક્યો છે. સરકારે દાવો કર્યો હતો કે ગયા વર્ષે રવી સિઝનમાં દેશનું ઘઉંનું ઉત્પાદન 112.7 મિલિયન ટન હતું, પરંતુ વેપાર અને ઉદ્યોગના સૂત્રોની ગણતરી મુજબ, ઉત્પાદનનો આંકડો સરકારના અંદાજ કરતાં દસ ટકા ઓછો હતો.
ઘઉંના ઓછા ઉત્પાદનને કારણે, સરકારને તેના બફર સ્ટોકમાંથી લોટ મિલો અને બિસ્કિટ ઉત્પાદકોને ઘઉંનો સપ્લાય કરવાની ફરજ પડે છે, પરિણામે સરકાર પાસે ઘઉંનો સ્ટોક ઓછો થઈ જાય છે.
આ વર્ષે માર્ચની શરૂઆતમાં સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક ઘટીને 97 લાખ ટન થયો હતો, જે 2017 પછીનું સૌથી નીચું સ્તર છે.
2023 માં, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ ખેડૂતો પાસેથી 2.62 કરોડ ટન ઘઉંની ખરીદી કરી હતી, જ્યારે વર્તમાન વર્ષનો ખરીદીનો આંકડો લગભગ ત્રણ કરોડ ટન રહેવાની ધારણા છે. FCIએ વર્તમાન સિઝન માટે ઘઉંની ખરીદી શરૂ કરી છે.