ચક્રવાત “મિચોંગ” આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકશે, એલર્ટ જારી
ચક્રવાતી તોફાન મિચોંગ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે મંગળવારે વાવાઝોડું બંને રાજ્યોના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તોફાનના કારણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેને ધ્યાનમાં રાખીને રેલવેએ ચેન્નાઈમાં ઈમરજન્સી સેલ અને દિલ્હીમાં વોર રૂમની સ્થાપના કરી છે. વાવાઝોડાની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને પુડુચેરીમાં પણ જોવા મળશે.
આંધ્ર પ્રદેશ સરકારે એલર્ટ જાહેર કર્યું છે
મિચોંગ ચક્રવાતને ધ્યાનમાં રાખીને, આંધ્ર પ્રદેશ સરકારે આઠ જિલ્લાઓ – તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા માટે એલર્ટ જાહેર કર્યું છે. સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીએ સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને જરૂરી માર્ગદર્શિકા આપી હતી.