નવી દિલ્હી: માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટ વચ્ચે આ રજાના સપ્તાહમાં શેરબજારોની દિશા મોટાભાગે વૈશ્વિક ઇક્વિટી બજારોના વલણ, વિદેશી ભંડોળ દ્વારા થતી ટ્રેડિંગ પ્રવૃત્તિઓ અને ચોમાસાની પ્રગતિ પર નિર્ભર રહેશે.બકરીદના કારણે બુધવારે શેરબજારો બંધ રહેશે. ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સ્વસ્તિક સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, “બજારોમાં સ્પષ્ટ સંકેતોનો અભાવ હોવાની અપેક્ષા છે પરંતુ જૂન માસના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની પતાવટ થોડી અસ્થિરતા લાવી શકે છે. મીનાએ કહ્યું કે ઘરેલું મોરચે ચોમાસાની હિલચાલ મહત્વપૂર્ણ રહેશે અને તે સારી વાત છે કે તે વેગ પકડી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં રોકાણકારો ક્રૂડ ઓઈલના ભાવ, ડોલર ઈન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડ પર નજીકથી નજર રાખશે. રેલિગેર બ્રોકિંગ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (ટેક્નિકલ રિસર્ચ) અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમે જૂન મહિના માટેના માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે આ અઠવાડિયે વોલેટિલિટી ઊંચી રહેવાની અપેક્ષા રાખીએ છીએ. યુએસ બજારોમાં તાજેતરની સ્લાઇડએ ચોક્કસપણે બજારને સાવચેત બનાવ્યું છે, પરંતુ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 33,500 ની ઉપર સ્થિર છે. સુધારાની આશા છે. આ ઉપરાંત પ્રોફિટ-બુકિંગ બાદ તમામની નજર વ્યાપક સૂચકાંકોની કામગીરી પર રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વૈશ્વિક શેરબજારોમાં મંદીનું વલણ અને સેન્ટ્રલ બેંકો દ્વારા દરમાં વધારાની ચિંતાએ ગયા સપ્તાહે રોકાણકારોને નિરાશ કર્યા હતા. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સંદર્ભમાં, વિશ્વભરની કેન્દ્રીય બેંકો હાલમાં ફુગાવા પર લગામ લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક ચિંતાઓ હોવા છતાં, અનુકૂળ સ્થાનિક આર્થિક સૂચકાંકો અને આંતરરાષ્ટ્રીય ભાવમાં સુધારાને કારણે સ્થાનિક બજારમાં કોઈ મોટી મંદીની શક્યતા નથી. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 405.21 પોઈન્ટ અથવા 0.63 ટકા ઘટ્યો હતો.