23 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ અને મહિલા ટીમો ભાગ લેશે. પરંતુ આ માટે BCCIએ મોટો નિર્ણય લીધો છે. એશિયન ગેમ્સ ચીનના હાંગઝોમાં રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાના કેટલાક મહત્ત્વના ખેલાડીઓ ક્રિકેટ ટીમમાં જોવા મળશે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયાનું ફોકસ વન-ડે વર્લ્ડ કપ પર છે. જેને ધ્યાનમાં રાખીને BCCIએ આ પગલું ભર્યું છે. ત્યાં જ વર્લ્ડ કપ પહેલા પણ બ્લુ આર્મી વ્યસ્ત શિડ્યૂલમાંથી પસાર થઈ રહી છે.
બીસીસીઆઈએ એ વાતની પુષ્ટિ કરી છે કે ટીમ ઈન્ડિયાના કેટલાક મહત્ત્વના ખેલાડીઓ એશિયન ગેમ્સ માટે નહીં જાય. જેની વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા હશે. આના પરથી સમજી શકાય છે કે ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ એશિયન ગેમ્સ માટે પુરૂષ ક્રિકેટ ટીમમાં જોવા નહીં મળે. આ સિવાય વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા સહિત ટીમના અન્ય ખેલાડીઓ એશિયન ગેમ્સથી દૂર રહી શકે છે. BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે જે ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભાગ નથી લઈ રહ્યા તેઓને જ એશિયન ગેમ્સ માટે પસંદ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં BCCIના સચિન જય શાહે જણાવ્યું હતું કે, ‘BCCI ઓગસ્ટમાં ચીનના હાંગઝોમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ મોકલશે. એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપની તારીખોના ક્લેશને કારણે બોર્ડ એવા ખેલાડીઓની પસંદગી કરશે જેઓ વર્લ્ડ કપનો ભાગ નહીં બને. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. બંને ટીમો 8 ઓક્ટોબરે આમને-સામને થશે. આ શાનદાર મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ એશિયન ગેમ્સનો ભાગ નહીં બને. જોકે એશિયન ગેમ્સ એ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે જે ટીમ ઈન્ડિયા માટે બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છે.