રાજધાની દિલ્હીમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના પ્રાંગણમાં મંગળવારે વિજયા દશમીના પર્વે વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશ્વ શાંતિ યજ્ઞ માટે અક્ષરધામ મંદિરના વિશાળ પરિસરમાં 111 યજ્ઞકુંડ બનાવાયા હતા. વિશ્વશાંતિ અર્થે યોજાયેલા મહાયજ્ઞમાં 1400 જેટલા ધાર્મિક ભક્તો યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્ત, સત્સંગી, અનુયાયીઓ સહીત શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અક્ષરધામ મંદિર દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર એ વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે.
આ અક્ષરધામ મંદિરનું નિર્માણ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 2005માં કરવામાં આવ્યું હતું. અક્ષરધામ મંદિરને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરાયો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર અક્ષરધામ મંદિરને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વ્યાપક હિંદુ મંદિર તરીકે ગણાવવામાં આવ્યું છે. મંદિરના આધ્યાત્મિક વૈભવ ઉપરાંત, તેના આર્કિટેક્ચર, પેઇન્ટિંગ, શિલ્પ, અત્યાધુનિક તકનીક, ભારતીય સંસ્કૃતિની ઉત્તમ કલા કૃતિની રજૂઆત અને રંગબેરંગી જળ આધારિત પ્રદર્શન માટે વિશ્વભરમાં જાણીતુ છે…
આ જ અક્ષરધામ મંદિર દ્વારા અવારનવાર આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમોનું અનેરુ આયોજન કરવામાં આવે છે. આવા જ આધ્યાત્મિક કાર્યક્રમોની શ્રેણીમાં મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં વિશાળ ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષરધામ મંદિરના ભક્તવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, ઉપનિષદ અનુસાર યજ્ઞ એ એક વિશેષ ભક્તિ પ્રક્રિયા છે. જે સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં જે આહુતી સ્વરૂપે જે વસ્તુ અર્પણ કરવામાં આવે છે તે અન્ય દેવતાઓ સુધી પહોંચે છે.
વિજયાદશમીના પર્વ નિમિત્તે આયોજિત વિશ્વશાંતિ અર્થે યોજાયેલા મહાયજ્ઞ, એ એક મહાઉત્સવ સમાન હતુ. વહેલી સવારે 5 વાગે સૌ કોઈ યજ્ઞ સ્થળ પર પહોંચ્યા હતા. મહાયજ્ઞમાં ભાગ લેનારા 1400 જેટલા ભાવિક ભક્તો માટે, કુલ 111 યજ્ઞકુંડ સાથિયાના આકારમાંબનાવવામાં આવ્યા હતા. ભારતના ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને ઉજાગર કરતો આ મહાયજ્ઞ સમગ્ર વિશ્વમાં અવિરત શાંતિ માટે પ્રાર્થના સાથે સંપન્ન થયો હતો.