આ મહિનાની શરૂઆતથી જ દેશના અનેક રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેમા પણ દિલ્હી અને ઉત્તર ભારતના મોટા ભાગના શહેરો પાણીમાં ડૂબી ગયા હતા. પ્રતિકૂળ હવામાનને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ફસાયા, ઘરો અને રસ્તાઓ ધોવાઈ ગયા અને જાહેર અને ખાનગી સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ, હવામાનની પેટર્નને કારણે આ મહિને ઓછામાં ઓછા 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એસબીઆઈ રિસર્ચ ઈકોરૅપના રિપોર્ટ અનુસાર, આ પૂરને કારણે થયેલા આર્થિક નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેમાં નુકસાન 10,000 થી 15,000 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ઉત્તર ભારતમાં તાજેતરમાં આવેલા પૂરથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને દિલ્હીને ખરાબ રીતે અસર થઈ છે. આ વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં આવેલા બિપરજોય ચક્રવાતને કારણે ભારતને પણ મોટું આર્થિક નુકસાન થયું છે.
અહેવાલો અનુસાર, હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ, ટ્રાન્સફોર્મર્સ, પાવર સબ સ્ટેશનો અને પાણી પુરવઠા પ્રોજેક્ટને વ્યાપક નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ, આ નુકસાન રૂ. 3,000-4,000 કરોડની વચ્ચે હોઈ શકે છે. દરમિયાન, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ સોમવારે રાજ્યમાં પૂરને કારણે આશરે રૂ. 5,000 કરોડના નુકસાનની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેમના ઘરોને સંપૂર્ણ નુકસાન થયું છે તેમને રૂ. 1,45,000 અને આંશિક રીતે નુકસાન થયેલા મકાનોને રૂ. 1 લાખનું વળતર આપવામાં આવ્યું છે. 1900 પછી સૌથી વધુ કુદરતી આફતો નોંધવામાં ભારત યુએસ અને ચીન પછી ત્રીજા ક્રમે છે. SBIના રિપોર્ટ અનુસાર, દેશમાં 1900થી અત્યાર સુધીમાં 764 કુદરતી આફતો જોવા મળી છે, જેમાંથી મોટા ભાગના પૂર અને તોફાનના સ્વરૂપમાં છે. 2001 થી, લગભગ 100 કરોડ લોકો પ્રભાવિત થયા છે, અને લગભગ 85,000 લોકોના જીવ ગયા છે. અનેક રાજ્યમાં વરસાદની આફત જોવા મળી રહી છે દિલ્હી અને્ હિમાચલમાં પૂરની સ્થિતિ બાદ હવે આગ્રા- મથુરામાં વરસાદ આફત બન્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને ખસેડવામાં આવ્યા છે તેમજ સતત બચાવની કામગીરી પણ વરસાદના કારણે અનેક રાજ્યમાં ચાલી રહી છે. ત્યારે આ આફતને લઈને અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે.