સતત વધી રહેલા પ્રદૂષણના કહેર બાદ ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઝેરી હવાથી દિલ્હીના લોકોને થોડી રાહત મળી છે. વરસાદ બાદ દિલ્હી-એનસીઆરના વિવિધ ભાગોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નોંધવામાં આવ્યો છે. જે પહેલા કરતા ઘણો ઓછો નોંધાયો છે. દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI સ્તર 175, મધ્ય દિલ્હીમાં 109, નવી દિલ્હીમાં 93, લોધી રોડમાં 159, ગુરુગ્રામમાં 78, ગ્રેટર નોઈડામાં 66 અને નોઈડામાં 168 નોંધાયું છે.. દિલ્હીમાં વરસાદ બાદ પ્રદૂષણમાં ઘટાડો થયો છે જે બાદ હવે દિલ્હી વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું ધુમ્મસ પ્રવર્તતું હતું. તે ધુમ્મસ હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી ANIએ દિલ્હીના જિયા સરાય, મુનિરકા અને આઉટર રિંગ રોડનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિલ્હીનું વાતાવરણ ઘણું સુધર્યું છે. ધુમ્મસના કારણે વિઝિબિલીટી ગાયબ થઈ ગઈ હતી, વૃક્ષો, વાહનોને જોવામાં પણ ઘણી તકલીફ પડી રહી હતી જે હવે સ્પષ્ટ દેખાય રહ્યા છે. દિલ્હીનું વાતાવરણ પણ સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયું છે..
ખરાબ હવાની ગુણવત્તાનો સામનો કરવા માટે કેજરીવાલ સરકાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કૃત્રિમ વરસાદ પાડવાની તૈયારી કરી રહી હતી. આ મોક ઈવેન્ટ આઈઆઈટી કાનપુરના સહયોગથી દિલ્હીમાં યોજાવાની હતી. તે પહેલા પણ દિલ્હીમાં કુદરતી રીતે વરસાદ પડ્યો પડતા થોડા અંશે રાહત મળી છે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જેમાં અન્ય રાજ્યોમાંથી આવતી ડીઝલ બસો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.. આ સાથે જ દિલ્હીમાં મકાનોના બાંધકામ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં વરસાદ બાદ શુક્રવારે ઝેરી હવામાં સુધારો જોવા મળ્યો છે. દિલ્હીના વિવિધ ભાગોમાં AQI સ્તર પહેલા કરતા ઘણું નીચું થઈ ગયું છે. સાથે જ મુંબઈના લોકોને પણ વધતા પ્રદૂષણમાંથી રાહત મળી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી મુંબઈનું AQI સ્તર ખરાબ સ્થિતિમાં હતું. છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે મુંબઈના પ્રદૂષણમાં ઘટાડો થયો છે. AQI સ્તર પણ ઘટ્યું છે. શુક્રવારે સવારે મુંબઈનું AQI સ્તર 94 નોંધાયું હતું.