કરાચી. પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ત્રણ હુમલા કર્યા, જેમાં ચાર અધિકારીઓ અને બે નાગરિકોના મોત થયા. આ દરમિયાન ગોળીબારમાં 9 આતંકીઓ માર્યા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ હુમલાઓમાંથી એક ઉચ્ચ સુરક્ષાવાળી જેલ પર પણ કરવામાં આવ્યો હતો.
ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 29 અને 30 જાન્યુઆરીની રાત્રે, આત્મઘાતી બોમ્બર સહિત ઘણા આતંકવાદીઓએ બલૂચિસ્તાનમાં માચ અને કોલપુર સંકુલ પર હુમલો કર્યો હતો. કાયદા અમલીકરણ એજન્સીઓએ હુમલાનો અસરકારક રીતે જવાબ આપ્યો. આ ગોળીબાર દરમિયાન 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા જેમને સુરક્ષા દળોએ પકડી લીધા હતા.
ISPRએ ચાર સુરક્ષાકર્મીઓ અને બે નાગરિકોની હત્યાની પુષ્ટિ કરી છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોને આસપાસના વિસ્તારમાં તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અગાઉ કહ્યું હતું કે સેન્ટ્રલ માચ જેલ પર ઓછામાં ઓછા 15 રોકેટ છોડવામાં આવ્યા હતા.
પ્રતિબંધિત અલગતાવાદી જૂથ ‘બલૂચિસ્તાન લિબરેશન આર્મી’ (BLA), મજીદ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે. હુમલા બાદ, સુરક્ષા દળો અને પર્વતોમાં પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહેલા હુમલાખોરો વચ્ચે કેટલાક કલાકો સુધી ભારે ગોળીબાર થયો હતો. બલૂચિસ્તાનના કાર્યકારી માહિતી પ્રધાન જાન અચકઝાઈએ જણાવ્યું હતું કે માચમાં અંતિમ ખાલી કરાવવાની કામગીરી હજુ ચાલુ છે. “વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે,” અચકઝાઈએ કહ્યું. સુરક્ષા દળો પરનો હુમલો આ વર્ષે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો સૌથી ઘાતક હુમલો છે. BLAએ 18 જાન્યુઆરીએ ઈરાનમાં તેમના કેમ્પ પર પાકિસ્તાનના હુમલા બાદ બલૂચિસ્તાનમાં અને અન્ય સ્થળોએ સુરક્ષા દળો પર હુમલા કરવાની ધમકી આપી હતી. ઈરાનમાં BLA કેમ્પ પર થયેલા હુમલામાં લગભગ નવ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તેમજ ઈરાનના પડોશી સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બે દાયકાથી વધુ સમયથી બલૂચ રાષ્ટ્રવાદીઓ દ્વારા બળવો ચાલુ છે. સરકાર બળવો ખતમ કરવાનો દાવો કરે છે, પરંતુ પ્રાંતમાં હિંસા ચાલુ છે.