પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહીમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન આર્મીની મીડિયા શાખા ‘ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ આ જાણકારી આપી.
ISPRએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ જિલ્લાના સરરોધા વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ISPR અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળો અને નિર્દોષ નાગરિકો વિરુદ્ધ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા.
તેમણે કહ્યું કે આતંકીઓ પાસેથી હથિયાર, દારૂગોળો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળો પાકિસ્તાનમાંથી આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.