વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કૃષ્ણનગરમાં અનેક જનસભાઓને સંબોધી હતી. રાજ્ય સરકાર પર મોટા આક્ષેપો કરતાં તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ જુલમ, વંશવાદી રાજકારણ અને વિશ્વાસઘાતનું બીજું નામ બની ગયું છે. TMC રાજ્ય સરકાર જે રીતે ચલાવવામાં આવી રહી છે તેનાથી બંગાળ નિરાશ થઈ ગયું છે.
પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે આજે અમે પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવા માટે વધુ એક પગલું ભરી રહ્યા છીએ. આજે મને રૂ. 15,000 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વીજળી, રસ્તા અને રેલ્વેની સારી સુવિધાઓ તમારું જીવન સરળ બનાવશે. આ વિકાસ કાર્યો પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ આપશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળ દેશના અન્ય રાજ્યો માટે પૂર્વી પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. પૂર્વમાં આ દરવાજા દ્વારા પ્રગતિની અપાર સંભાવનાઓ પ્રવેશી શકે છે, તેથી અમારી સરકાર પશ્ચિમ બંગાળમાં રોડ, રેલ, હવાઈ અને જળમાર્ગની આધુનિક કનેક્ટિવિટી માટે કામ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે TMCના કુશાસનમાં માતા, માટી અને મનુષ્ય બધા રડી રહ્યા છે. સંદેશખાલીની બહેનો ન્યાય માટે વિનંતી કરતી રહી પરંતુ ટીએમસી સરકારે તેમની વાત સાંભળી નહીં. રાજ્ય સરકાર ઈચ્છતી ન હતી કે સંદેશખાલીના ગુનેગારની ક્યારેય ધરપકડ કરવામાં આવે, પરંતુ જ્યારે બંગાળની આ નારી શક્તિ દુર્ગા બનીને ઊભી થઈ અને ભાજપના કાર્યકરો તેમની સાથે ઊભા રહ્યા, ત્યારે રાજ્ય સરકારને ઝુકવાની ફરજ પડી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીં જે રીતે TMCની રાજ્ય સરકાર ચાલી રહી છે, તેનાથી બંગાળને નિરાશા થઈ છે. પશ્ચિમ બંગાળના લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે ટીએમસીને વારંવાર આટલો મોટો જનાદેશ આપ્યો પરંતુ ટીએમસી જુલમ અને વિશ્વાસઘાતનું બીજું નામ બની ગયું છે. ટીએમસી માટે પ્રાથમિકતા બંગાળનો વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ છે.