દેશભરમાં શિક્ષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા આઇઆઇટી જમ્મુ, આઇઆઇએમ જમ્મુ, આઇઆઇટી ભિલાઇ, આઇઆઇટી તિરુપતિ, આઇઆઇઆઇટીડીએમ કાંચીપુરમ, આઇઆઇએમ બોધગયા, આઇઆઇએમ વિશાખાપટ્ટનમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (આઇઆઇએસ) કાનપુર જેવી કેટલીક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે
પ્રધાનમંત્રી જમ્મુ એઈમ્સનું ઉદઘાટન કરશે; પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી, 2019માં તેનો શિલાન્યાસ પણ કર્યો હતો
પ્રધાનમંત્રી જમ્મુમાં જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ ભવન અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ માર્ગ અને રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તથા ખાતમુહૂર્ત કરશે
પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિક અને શહેરી માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે કેટલીક યોજનાઓનું ભૂમિપૂજન અને ઉદઘાટન પણ કરશે
(જી.એન.એસ),તા.૧૯
નવીદિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરી, 2024નાં રોજ જમ્મુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:30 વાગ્યે જમ્મુનાં મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે એક જાહેર સમારંભમાં રૂ. 30,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. આ પ્રોજેક્ટ્સ સ્વાસ્થ્ય, શિક્ષણ, રેલ, રોડ, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાગત સુવિધા સહિત કેટલાંક ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાંથી 1500 નવી સરકારી ભરતીઓને નિમણૂકના આદેશોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે.
શિક્ષણ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન
સમગ્ર દેશમાં શિક્ષણ અને કૌશલ્યવર્ધક માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા અને વિકસાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રી આશરે રૂ. 13,375 કરોડનાં મૂલ્યનાં કેટલાંક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. જે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે તેમાં આઈઆઈટી ભિલાઈ, આઈઆઈટી તિરૂપતિ, આઈઆઈટી જમ્મુ, આઈઆઈઆઈટીડીએમ કાંચીપુરમનું કાયમી પરિસર સામેલ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ) – અત્યાધુનિક ટેકનોલોજી પર અગ્રણી કૌશલ્ય તાલીમ સંસ્થા – કાનપુરમાં સ્થિત છે. અને સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના બે કેમ્પસ – દેવપ્રયાગ (ઉત્તરાખંડ) ખાતે અને અગરતલા (ત્રિપુરા) ખાતે છે. પ્રધાનમંત્રી દેશમાં ત્રણ નવા આઇઆઇએમ એટલે કે આઇઆઇએમ જમ્મુ, આઇઆઇએમ બોધગયા અને આઇઆઇએમ વિશાખાપટ્ટનમનું ઉદઘાટન કરશે. તેઓ દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલય (કેવી) માટે 20 નવી ઇમારતો અને 13 નવા નવોદય વિદ્યાલય (એનવી) ઇમારતોનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલયનાં પાંચ સંકુલો, એક નવોદય વિદ્યાલય સંકુલ અને નવોદય વિદ્યાલયો માટે પાંચ બહુહેતુક હોલનું શિલારોપણ પણ કરશે. આ નવનિર્મિત કેવી અને એનવી ઇમારતો દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.