ફ્રેન્ચ રમખાણો: ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસ દ્વારા એક કિશોરને ગોળી મારી દેવાની ઘટના બાદ લોકોએ અહીં સતત ત્રીજા દિવસે મોટા પાયે પ્રદર્શન કર્યું. આ દરમિયાન દેખાવકારોએ બેરિકેડ લગાવીને રસ્તાઓ બ્લોક કરી દીધા, આગચંપી કરી અને પોલીસકર્મીઓ પર ફટાકડા ફોડ્યા. પોલીસે દેખાવકારોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા. આ સંબંધમાં, 875 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 200 પોલીસ અધિકારીઓ વિરોધીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ટ્રાફિક ચેકિંગ દરમિયાન 17 વર્ષની નાહેલની હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાએ દેશને હચમચાવી દીધો છે અને લોકોમાં ભારે ગુસ્સો છે. દરમિયાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શુક્રવારે માતાપિતાને કિશોરોને ઘરે રાખવા વિનંતી કરી અને સમગ્ર ફ્રાન્સમાં ફેલાયેલા રમખાણોને રોકવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો. વરિષ્ઠ મંત્રીઓ સાથેની બીજી કટોકટીની બેઠક પછી, મેક્રોને કહ્યું કે ‘Snapchat’ અને ‘TikTok’ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આ અઠવાડિયે હિંસાના કૃત્યોને વેગ આપવામાં ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે તેમની સરકાર “સૌથી સંવેદનશીલ સામગ્રીને દૂર કરવા” માટેની પ્રક્રિયાઓ સેટ કરવા માટે ટેક્નોલોજી કંપનીઓ સાથે કામ કરશે.
ત્રીજી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલુ છે
આ ઘટના બાદ ફ્રાન્સમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો અને વિવિધ સ્થળોએ આગચંપી કરવાની ઘટનાઓ બની હતી અને ત્રીજી રાત પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા. ફ્રાન્સની રાષ્ટ્રીય પોલીસ એજન્સીએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા 875 લોકોમાંથી લગભગ અડધા પેરિસ ક્ષેત્રના હતા. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે વિરોધીઓએ ક્લિચી-સોસ-બોઇસના ઉપનગરમાં સિટી હોલ અને ઓબરવિલિયર્સમાં બસ ડેપોમાં આગ લગાવી હતી. તેમણે કહ્યું કે પેરિસના ઘણા વિસ્તારોમાં લોકોના જૂથોએ સુરક્ષા દળો પર ફટાકડા ફેંક્યા.
40,000 પોલીસ અધિકારીઓ તૈનાત
પ્રાદેશિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે શહેરના 12મા એરોન્ડિસમેન્ટમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે રિવોલી સ્ટ્રીટમાં, લૂવર મ્યુઝિયમની નજીક અને સેન્ટ્રલ પેરિસના સૌથી મોટા શોપિંગ મોલ ફોરમ ડેસ હેલેસમાં કેટલીક દુકાનો લૂંટી લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભૂમધ્ય બંદર શહેર માર્સેલીમાં, પોલીસે શહેરના મધ્યમાં હિંસક જૂથોને વિખેરવાનો પ્રયાસ કર્યો. પેરિસ પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, દેખાવોને કાબૂમાં લેવા માટે લગભગ 40,000 પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મારા પુત્રને ન્યાય મળવો જોઈએઃ નાહેલની માતા
રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, લગભગ 200 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. દરમિયાન, ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમાનિને શુક્રવારે હિંસાની ઘટનાઓની નિંદા કરી હતી. નાહેલની માતા, મૌનિયા એમ, ફ્રાન્સ 5 ટેલિવિઝનને જણાવ્યું હતું કે તેણી તેના એકમાત્ર બાળકની હત્યા કરનાર પોલીસ અધિકારીથી ગુસ્સે છે. તેણે કહ્યું કે મારા પુત્રને ન્યાય મળવો જોઈએ. પોલીસ અધિકારી પોતાની બંદૂક કાઢીને અમારા બાળકો પર ગોળી મારી શકે નહીં, અમારા બાળકોનો જીવ ન લઈ શકે.