બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કેન્દ્રીય તપાસ એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. CBI એ આ દુર્ઘટના મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં બાલાસોરના સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહાંતો, સોહોના સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમીર ખાન અને ટેકનિશિયનનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીની IPCની કલમ 304 અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 25 વર્ષમાં દેશના સૌથી મોટા રેલ અકસ્માતોમાંની એક એવી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો, હાવડા જતી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન અને એક માલગાડી સાથે અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કોરોમંડલ એક્સપ્રેસ સ્પીડ સાથે બહાનાગા બજાર રેલવે સ્ટેશન પાસે મુખ્ય લાઇનને બદલે પસાર થતી લૂપ લાઈનમાં ઘૂસી ગઈ હતી અને આ ટ્રેક પર પહેલેથી જ હાજર માલગાડી સાથે અથડાઈ હતી. બંને ટ્રેનની ટક્કર બાદ કોરોમંડલ એક્સપ્રેસના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. તે જ સમયે ડાઉન લાઇન પર આવી રહેલી SMVT સુપરફાસ્ટ એક્સપ્રેસના પાછળના ભાગ સાથે કેટલાક કોચ અથડાયા હતા. આ દુર્ઘટના બાદ રેલવેએ પહેલા CRS તપાસના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ CBI તપાસના આદેશ આપ્યા હતા. આ દુર્ઘટના બાદ રેલવેએ દક્ષિણ પૂર્વીય રેલવેના ઘણા ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હતી, જેમના અધિકારક્ષેત્રમાં આ દુર્ઘટના બની હતી. શરૂઆતની તપાસમાં અકસ્માતના સંભવિત કારણ તરીકે બેદરકારી અથવા ઈરાદાપૂર્વક સાથે સિગ્નલમાં છેડછાડ કરવાના સંકેત આપવામાં આવ્યા હતા.